સ્મરણાંજલિ – દિગંત જાની, ‘આલાપ’

આ  સ્મરણાંજલિ, સમગ્ર જાની પરિવારના સભ્યો વતી – આપણા એ માનવંતા સ્વર્ગવાસી વડીલોને સમર્પિત કરું છું, જેમના આશીર્વાદ અને શુભકામનાઓ થકી ‘જાની પરિવાર’ નું વટ-વૃક્ષ આજે હર્યું-ભર્યું છે. જાની પરિવાર આ મોભીઓનું સદા ઋણી રહેશે. હૃદય થી યાદ કરવા નો આ મારો પ્રમાણિક પ્રયાસ છે. ક્ષતિ-ચૂક બદલ ક્ષમાપાર્થી છું.
જાની પરિવારના વડીલ-વારસો
સ્વ. મોહનલાલ જાની  સ્વ. નર્મદાબેન મોહનલાલ જાની
સ્વ. રમણભાઈ  મોહનલાલ જાની  સ્વ. જશુબેન રમણભાઈ જાની
સ્વ. ઇન્દુભાઇ મોહનલાલ જાની સ્વ. સુલોચનાબેન ઇન્દુભાઇ જાની 
સ્વ. કનુભાઈ મોહનલાલ જાની  સ્વ. શાંતાબેન કનુભાઈ જાની
સ્વ. સુમનભાઈ મોહનલાલ જાની સ્વ. મંજુલાબેન સુમનભાઈ જાની
સ્વ. પીયુષભાઈ કનુભાઈ જાની

 

અમારું વિશ્વ એમની ગેરહાજરીથી સુકાઈ રહ્યું છે.


ખોવાઈ ગયા ક્યાંક અમારા એ આપ્તજનો, જે કદાચ અમારાથી રિસાઈ ગયા છે.


પડ્યો જે ખાલીપો આપ સહુ નો, અમે ન વર્ણવી શકાય એવી દશામાં મુકાઈ  ગયા છીએ.


સુરક્ષિત હતા અમે ક્યારેક જેમની છાયાઓમાં, એ અમારા ‘છત્ર’ હવે ચોરાઈ ગયા છે.


જેમનો વહાલ નો દરિયો હતા અમે જે દિવસોમાં, એ દિવસો અમારા વિસરાઈ રહ્યા છે.


નથી હાજર એ સર્વે અમારી વચ્ચે છતાં, અમારા હૃદયના કોઈક ખૂણે બધા કંડારાઇ ગયા છે.


હૃદયમાં ભીની પડી રહી છે યાદો જેમની, એ બધા હવે જમાનાથી વિસરાઈ રહ્યા છે.


એકવાર અમારા વર્તમાનમાં દેખા દઈ જાવ, જે અમારો વહાલો ભૂત-કાળ બની ગયા છે.


અમારું વિશ્વ ‘તમારી’ ગેરહાજરી થી સુકાઈ રહ્યું છે. અમારા હૃદય આપ સહુ વિના રડી રહ્યા છે…


ખેવના.. – દિગંત જાની, ‘આલાપ’

વિના કોઈ શબ્દોના પ્રત્યુત્તરે સહી લઈશ આ જીવનની વેદનાઓ,
તું ઈચ્છીશ તો એકી ઝાટકે દફનાવી દઈશ આ મનની ખેવનાઓ…

કરી લઈશ તને મૂંગા મને અખૂટ પ્રેમ, સંભારી લઈશ ક્યારેક તારા મૃગજળ સપનાઓ,
એક વાર તારા વિચારોને વાચા તો આપ , ઘુટાવી દઈશ મારા અંતરની મનોકામનાઓ…

તારી આખોને વાંચવાની જો તક મળે, નત મસ્તક સ્વીકારી લઈશ તારી મનો-ઇચ્છાઓ,
બતાવી જા એક વાર તારા શુષ્ક પ્રેમનો દરિયો, ભરી દઈશ એમાં મારી આખોના અશ્રુઓ…

નથી કોઈ મારું આ વિશ્વમાં તારી સરીખું, જે સંતૃપ્ત કરી શકે મુજ પ્રેમની આકાંક્ષાઓ,
તું સમર્પિત કરે મને જો તારા અસ્તિત્વને, તારા નામે કરી દઈશ મારા જન્મ-જન્માંતરો…

‘હું… ‘

હું…સમગ્ર સૃષ્ટિ નાં હાલ ના આ યુગ નો મારા સ્વયમ ના સાક્ષાત્કાર નો એવો સર્વ પ્રથમ સાક્ષી અને મારામાં વસેલા ઈશ્વરનું હું સહુ થી માનીતું, પ્રિય અને અજોડ સર્જન!

હું હમેશા મારા હૃદય માં બિરાજેલા એ ઈશ્વરના શરણે રહેવા માગું છું. સામે કોઈ પણ ભાવ ની અપેક્ષા વગર, ‘શૂન્યવત’ બની રહી આ સૃષ્ટિ ના પ્રત્યેક સર્જન ને પ્રેમ થી પોષી લેવા માગું છું. અને સ્વયમ ને ઓળખી લેવા તત્પર છું. પણ વાસ્તવિકતા આના થી વિપરીત છે.

જયારે મને આત્મસાત છે કે આ સંસારમાં આ શરીર પણ છેલ્લે મારું પોતાનું નથી રહેવા નું, તો કેમ હું હમેશા ‘બધું મારું’ હોવાના નિરર્થક દંભ માં રાચું છું ? શું કામ મારી અલ્પ-જીવી ઈચ્છાઓ, અપેક્ષાઓ એક બીજા સ્વતંત્ર જીવ ની ઈચ્છાઓ અને અપેક્ષા પર હાવી બનાવું છું? શું કામ આ રીતે બીજા ને જાણતા-અજાણતા દુ:ખ આપી સ્વયમ ને સુખી કરવાના પ્રયત્ન માં રહું છું ?

હું…આ યુગ નો મધ્યાહને તપતો સુરજ, શું કામ મારી અપેક્ષા ઓ, મહત્વાકાંક્ષાઓ ની જવાળાઓ થી બીજાઓને દઝાડી એમની સ્વતંત્રતાને રુંધવાનો પ્રયાસ કરું છું ? મને મારા માં વસેલા ઈશ્વર પાસે થી આ અધિકાર ક્યારે મળ્યો ?

કળીયુગના આ સંસારમાં મારા વ્યક્તિત્વ નું સતત ધોવાણ થતું રહે છે, હું તારી શકવા સક્ષમ હોવા છતાં, ઈચ્છાઓ, અપેક્ષાઓ, નિરર્થક મહત્વાકાંક્ષાઓ અને દંભ ને કારણે ‘સ્વ’ ને દરેક પળે મારી રહ્યો છું . અથવા સ્વ થી દુર જઈ રહ્યો છું. સંસાર નું સર્વ સુખ ઝડપ થી ભોગવી લેવાની મારી આંધળી દોડ માં હું ‘સ્વ’ ને માણવાનું સુખ ચુકી રહ્યો છું. આમ બની રહ્યું છે ત્યારે ‘સ્વ’ ને આત્મસાત કરવાનો તો કોઈ અવકાશ જ નથી.

આવ્યો ત્યારથી બીજાઓ સમક્ષ સતત મારી ઓળખ પ્રસ્થાપિત કરવા ના સંઘર્ષ માં વ્યસ્ત છું અને હું પોતે ઈશ્વર ની હાંસી નું પાત્ર બની રહ્યો છું એનું મને ભાન નથી. કારણ કે આ સંઘર્ષ હું એવા લોકો સાથે કરી રહ્યો છું જે લોકો પોતે પણ આ પ્રકારના સંઘર્ષમાં પહેલે થી વ્યસ્ત છે. હું હજુ સુધી મારી ઈચ્છા ઓ, મહત્વાકાંક્ષાઓ અને દંભ ઉપર જીત મેળવી નથી શક્યો અને આખે આખું વિશ્વ જીતવા નીકળી પડ્યો છું. મારી બહારના વિશ્વમાં મારી સુવાસ ફેલાવાના મોહમાં મારું અંદર નું વિશ્વ પ્રદુષિત થતું અવગણી રહ્યો છું.

હું પ્રેમ તો કરી જાણું છું પણ સમા પક્ષ પાસે થી પણ એટલો પ્રેમ મને મળવો જ જોઈએ એવું શરતી જીવન જીવી રહ્યો છું . જાણે બીજા નો પ્રેમ માપવાનું મેં જે “માંપીયું” વસાવ્યું છે જેનાથી વારે-વારે માપી ને પ્રેમનું વજન ચકાસી જોઉં છું. રોજ દિવસના અંતમાં ‘આજે બીજાઓ પાસે થી કેટલું મેળવ્યું’ નો હિસાબ કરવાની વૃત્તિ ધરાવું છું પણ દિવસ ની શરૂઆતમાં બીજા ને આજે શું આપી શકાય એમ છે એ ધ્યાનમાં નથી લાવી શકતો.

હું.. એટલે આ સંસારનું એક અદ ના મદ માં છકેલ ‘અમર પાત્ર’. મારા પોતાની તરફેણમાં, આ સંસારની કોર્ટ માં લડવા હમેશા તત્પર અને બની બેઠેલો મારો પોતાનો વકીલ, એવો હું દરેક જીવ માં વસુ છું.

અહિયાંનું કશું જ મારું નથી છતાં દરેક પર અધિકાર જમાવી રહ્યાના પ્રયાસમાં છું અને ભૂલી ગયો છું કે – ‘હું એકલો છું અને આમાંનું મારું કશું જ નથી’

કેવી રીતે ધન્ય ગણી શકું, મારા આવા અસ્તિત્વ ને….?

અભિલાષા – દિગંત જાની, ‘આલાપ’

તને મારા અખૂટ પ્રેમ ની સોગાદ સમર્પિત  કરી, એ અવિરત પ્રેમ માં તૂટી જવા માગું છું.

 

તારા પ્રેમ નું એક નવું વિશ્વ જીતી, મારું પોતીકું વિશ્વ હારી જવા માગું છું.

 

વહ્યો જે તારા પ્રેમ નો દરિયો મુજ હૃદય માંથી, એ વિરાટ દરિયો તારી સાથે તરી જવા માગું છું.

 

તારી આંખો ના કાજળની એ ઘેરી રાતો માં, હું ‘ સ્વ’ ને તારા માં શોધી લેવા માગું છું.

 

તારી કમનીય કાયાના આલીન્ગને, વીંટળાયેલા એ વેલા માંથી વિશાળ  વટ-વૃક્ષ  બની જવા માગું છું.

 

મારા ઉપવનના એક મન-ગમતા ફૂલ ને મારા પ્રેમ થી સીંચી, એની મહેક ચોમેર પ્રસારી દેવા માગું છું.

 

મારા ઈશ્વર ને મારા પ્રેમનો દૂત બનાવી, મુજ આ ‘આલાપ’ ને તારા હૃદય સુધી પહોચાડી દેવા માગું છું.


હિંમત નથી રહી… – દિગંત જાની

આ હૈયું બાળી ને પ્રેમ-ઉષ્મા એવી તે કેવી અપાઈ ગઈ તને,
કે હવે વધુ હામ ભીડવા ની હિંમત નથી રહી…

ભીની લાગણી ઓથી એવી તે કેવી ભીંજવી તને,
કે હવે મન કોરું પાડવા ની હિંમત નથી રહી…

ઘેરો સુનકાર એવો તે કેવો વ્યાપ્યો આ મનડા માં ,
કે હવે એમાં નવ-ચેતના જગાડવા ની હિંમત નથી રહી…

અંતર ના ઉંડાણે અંધારિયો કુવો એવો તે કેવો ખોદાયો,
કે હવે છેક સુધી એમાં ફરી પ્રકાશ રેલાવા ની હિંમત નથી રહી…

દિલ ના પટ પર તારી બેવફાઈ ના તીર એવા તે કેવા ભોંકાયા,
કે હવે તારા પ્રેમ ની કસોટી કરવા ની હિંમત નથી રહી…

પાપણ ના એક પલકારે આંખો ની હવેલી ના સપના એવા તે કેવા તૂટ્યા,
કે હવે મારામાં વધુ પ્રેમ કરવા ની હિંમત નથી રહી…

પ્રવાસ – દિગંત જાની, ‘આલાપ’

નીકળી પડ્યો છું આ જીવન ખુંદવા…
મારા પોતીકા ભાગ્ય ના જ સથવારે.

આશા ઓના બળતણ થી આ મારગ કપાતો…
ક્યારેક હું જ મારી દિશા ભટકી જતો.

આમ તો  મળી રહે છે ઘણા સંગાથી…
મારી અચળ ગતિ થી, એ પણ બધા ધીમા પડી જતા!

મિથ્યા આ દોડ માં કોઈ તડકે જો વિસામો આવતો…
હૈયા માં હામ ધરાબી, ઉતરેલા જોમ ફરી નવપલ્લિત કરી લેતો.

માપવા મથું છું આ અવિરત પ્રવાહ…
શોધવા છતાં ક્યાય છેડો નથી મળતો.

નીકળી પડ્યો છું આ જીવન ખુંદવા…મારા પોતીકા ભાગ્ય ના જ સથવારે.

કોને ખબર…? – દિગંત જાની, ‘આલાપ’

એક નજર ચૂકવી આ જટિલ વિશ્વ ની, પ્રેમ કરી લઉં  તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

તારી કસ્તુરી ની પ્રેમ-સુગંધ ભેગા માણવા, હું મનાવી લઉં તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

તારી હથેળીઓ ને ચૂમી, મારા અંતર-મન થકી સ્પર્શી જાઉં તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

તારી આંખો માં મારી આંખો ભેળવી, એક મીઠી નજરથી માણી લઉં તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

તારા દેહ-લાલિત્ય પર અનરાધાર વરસી, મારા પ્રેમ-રસ થી ભીંજવી જાઉં તને ,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

એક તું જ ના નિર્ધારે, મારું સર્વસ્વ સમર્પિત કરી, એક શ્વાસે ચાખી લઉં તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

મારા રોમે-રોમ માં તારું અસ્તિત્વ ઉજાગર કરી, મારા મન-હદય થી ખીલવી દઉં તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

જગત ના જટિલ બંધનો ની પરવા ના કરી, મક્કમ મનો-બળે  સ્વીકારી લઉં તને,
કોને ખબર…ફરી મળાય ના મળાય.

મા ને પ્રાર્થના – દિગંત જાની, ‘આલાપ’

હે મા.., તારા ચરણો માં આ જીવતર ની પ્રસાદી ધરાવું,
તારી આરાધના ના સુર રેલાવી, શીશ ઝુકાવી સાદર નમી રહું.

પ્રેમ-પુષ્પ નો ગુચ્છ પહેરાવી, મારું મન-મંદિર સુવાસિત કરું,
તને ખોબો જળ ચઢાવી, આ આતમ ને સંતૃપ્ત કરું.

નિત્ય તારા સ્મરણો થી મોહ, માયા અને આડંબર અવરોધી રહું,
તારી કૃપા દ્રષ્ટિ જો મુજ પર પડે, કોઈ મારગ ભૂલેલા ની દિશા બની રહું.

વણ-માગ્યું તે દીધું આ અખીલ વિશ્વ ને, તારા સર્જન નો સાક્ષી હું બની રહું,
એક તું જ શક્તિ-સ્વરૂપા જગત જનની, સદા તારા દર્શન નો અભિલાષી બની રહું.

કેમ તું…? – દિગંત જાની, ‘આલાપ’

જીવન તારા પ્રેમ ની રોશની ઓ થી ઝગમગાવ્યું હતું મેં,
કેમ તું એમાં  ઊંડા અંધારા ફેલાવતી ગઈ ?

હૃદય માં કિલ્લોલ કરતુ એક બાળ સંગીત જનમાવ્યું હતું મેં,
કેમ તું એમાં શૂન્યવત શાંતિ પ્રસરાવતી ગઈ ?

તારા પ્રેમ નો એક ‘મીઠો’ દરિયો દિલ માં વહેવડાવ્યો હતો મેં,
કેમ તું એમાં મીઠા ની ખારાશ ભેળાવતી ગઈ ?

અંતર માં તારા પ્રેમ ના પુષ્પ ની સુવાસ ઉજાગર કરી હતી મેં,
કેમ તું એ સુવાસ નું અસ્તિત્વ જોખમ માં મુકતી ગઈ ?

પ્રેમ ની ખાલી બે મીઠી પળો સાથે માણવા નો આપણો પ્રશ્ન હતો,
કેમ તું એનો જવાબ અધુરો આપી ને ગઈ ?

માણવી હતી પહેલા પ્રેમ-વરસાદ ની ભીની માટી ની એ મહેક,
કેમ તું એ ભીની માટી ને સુકવતી ગઈ ?

આ જીવતર નું સર્વસ્વ સમર્પિત તને કર્યું હતું મેં,
જે મને તે થોડું આપ્યું હતું, કેમ તું મારું ઘણું બધું લેતી ગઈ ?

 

સંબંધો – ચિરંજીવી!

સમય ના પ્રવાહમાં તરતા વ્યક્તિના માનસ-પટલ પર સંબંધોનું  તેજ ઓસરાય છે,
દરિયાની ઓટ એ તો સંબંધો ના વળતા-પાણી સમાન છે.

સમયે ફરી ભરતી આવે છે અને નવા સંબંધો રચાય છે,
ક્યાંક સંબંધો નો સૂર્યોદય થતો હોય, તો ક્યાંક સંબંધો આથમે  છે.

માનસ-પટલ ની આ અવસ્થા  નિરંતર બદલાયા કરે છે,
કારણ કે પરિવર્તન એ તો આ સંસાર નો નિયમ, આજે જે નવું,  એ જ આવતી કાલ નું જુનું-પુરાણું!

સમયે-સમયે સંબંધો ના એ સાપ તો સરકી જાય  છે,
પણ લીસોટા વ્યક્તિના માનસ-પટલ પર છોડી જાય છે.