સફળ માણસના લક્ષણો

સફળ માણસના લક્ષણો - ચિરાગ પટેલ ઓગસ્ટ ૦૨, ૨૦૦૮

મેં ઘણા સમય પહેલા એક પુસ્તકમાં વાંચેલા અને નોંધ કરેલા સફળ માણસના લક્ષણો આજે તમારી સાથે વહેચું છું.

૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ
૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
૫) હંમેશા વર્તમાનમાં જીવનાર - અહી અને હમણા
૬) સ્વનિર્ભર અને સન્નિષ્ઠ સબંધો ધરાવનાર
૭) બીજાની સંમતિ શોધવાથી મુક્ત
૮) સામાજિક જવાબદારીઓ વિષે સભાન
૯) હસમુખું અને આનંદમય વ્યક્તિત્વ
૧૦) વાસ્તવિકતાનો શાંતિથી સ્વીકાર કરનાર
૧૧) બીજાને સમજવાની કુદરતી શક્તિ
૧૨) વ્યર્થ વિખવાદોથી દુર રહેનાર
૧૩) “બીમારી”ની બીમારીથી દુર રહેનાર
૧૪) પરંપરાગત કરતા જુદો માર્ગ લેનાર
૧૫) ઉત્સાહથી ભરપુર
૧૬) સતત કુતુહલવૃત્તિ અને સંશોધનાત્મક વલણ
૧૭) નિષ્ફળતાથી નિર્ભય
૧૮) રક્ષણાત્મક્ વલણથી મુક્ત
૧૯) વાડાબંધીથી મુક્ત
૨૦) ગુણોની અગ્રીમતા વિષે સ્પષ્ટ
૨૧) ધારદાર પ્રમાણિક
૨૨) લાંબા ગાળાના ધ્યેય વિષે સ્પષ્ટ
૨૩) ઈર્ષ્યા મુક્ત
૨૪) જાત માટે પ્રેમ અને આદર

સર્જકો સાથે સંધ્યા

સર્જકો સાથે સંધ્યા - ચિરાગ પટેલ જુલાઈ 15, 2009

જુલાઈ ૧૧ ૨૦૦૯ને શનિવારે એડીસન, ન્યૂજર્સી ખાતે ટીવી એશિયા ચેનલના ઓડીટોરીયમમાં સર્જકો સાથે સંધ્યાનો એક કાર્યક્રમ યોજાયો. ડો. મણીલાલ હ. પટેલ એમાં અતિથિવિશેષ હતા. કાર્યક્રમનું સંચાલન હરનીશભાઈ જાનીએ સંભાળ્યું હતું. કુલ ૨૦ જેટલા સર્જકોએ પોતાની કૃતિ (ગદ્ય કે પદ્ય) રજુ કરી હતી. એમાં મારા જેવા નવોદિતો પણ હતા. મારા સદનસીબે એ કાર્યક્રમનું રેકોર્ડીંગ હું કરી શક્યો. આખો કાર્યક્રમ લગભગ સાડા ત્રણ કલાકનો હતો. હરનીશભાઈનું ઈ-મેઈલ આઈડીઃ harnish5@yahoo.com છે.

આખા કાર્યક્રમમાં જે સર્જકોએ રજૂઆત કરી તેમની વિડીયો ક્લીપીંગ રજુઆતના ક્રમ મુજબ નીચે મુકું છું. હરનીશભાઈએ સંચાલન દરમ્યાન જે હળવી પળો જન્માવી તે બધી અલગથી મૂકી છે. કાર્યક્રમમાં મધુ રાય પણ હાજર હતા.

અતિથિવિશેષ પરિચય - http://www.youtube.com/watch?v=LLoY_AI8KdQ
હરનીશ જાની - (૧)http://www.youtube.com/watch?v=U2BTvsGOqBc
(૨)http://www.youtube.com/watch?v=nPazR6pPL-c
(૩)http://www.youtube.com/watch?v=xL5JUuAVbsU
(૪)http://www.youtube.com/watch?v=PBntcDNYjVM
(૫)http://www.youtube.com/watch?v=sZZgxUSwZMo
(૬)http://www.youtube.com/watch?v=u50gkUpeZ3g
(૭)http://www.youtube.com/watch?v=26B9gBkNkjo
(૮)http://www.youtube.com/watch?v=1tHM_grOsds
ભરત દેસાઈ - http://www.youtube.com/watch?v=710VLUSflhk
સુધાકર ભટ્ટ - http://www.youtube.com/watch?v=ZRh6e-b63N4
સરલા વ્યાસ - http://www.youtube.com/watch?v=UUsP_44mXfg
ચિરાગ પટેલ - http://www.youtube.com/watch?v=PDENdBja00g
હંસા જાની - (૧)http://www.youtube.com/watch?v=J023GeEDWl8
(૨)http://www.youtube.com/watch?v=LW04ML07ZnY
રમેશ શાહ - http://www.youtube.com/watch?v=8ze4iIjwwKI
મોના નાયક - (તેમની વિનંતી હોવાથી કલીપ મૂકી નથી.)
પ્રવીણભાઈ શશી - http://www.youtube.com/watch?v=xW_FldwLwWY
પન્ના નાયક - http://www.youtube.com/watch?v=l7iscVpza7M
મણીલાલ હ. પટેલ - (૧)http://www.youtube.com/watch?v=fLPzhcMjlDk
(૨)http://www.youtube.com/watch?v=MmCByQpxo4s
(૩)http://www.youtube.com/watch?v=dCfh6_Awg9U
(૪)http://www.youtube.com/watch?v=Udv13dBl3rA
(૫)http://www.youtube.com/watch?v=8XRbnfkn2y4
(૬)http://www.youtube.com/watch?v=Y0TlgNm6gug
પ્રીતિ સેનગુપ્તા - http://www.youtube.com/watch?v=07EEYLzad6Q
ચંદુ શાહ - http://www.youtube.com/watch?v=w4mGdWUtLAI
રોહિત પંડ્યા - (૧)http://www.youtube.com/watch?v=-gNgNRIh-2c
(૨)http://www.youtube.com/watch?v=CL-TMe7Yu_Q
શશીકાંત શાહ - http://www.youtube.com/watch?v=ieXCS97b7UY
જનક નાયક - http://www.youtube.com/watch?v=4WNbXNclMK4
રાહુલ શુક્લા - http://www.youtube.com/watch?v=AxE85805vWo
સૂચી વ્યાસ - http://www.youtube.com/watch?v=UtE8U7eHoys
ભરત શાહ - http://www.youtube.com/watch?v=BK8i564qcSE (મારા કેમકોર્ડર્ ની મેમરી ખૂટી પડવાથી રેકોર્ડીંગ થયું નથી. માફી.)
બિસ્મિલ મન્સૂરી - (મારા કેમકોર્ડર્ ની મેમરી ખૂટી પડવાથી રેકોર્ડીંગ થયું નથી. માફી.)

ભૂલચૂક કે શરતચૂક થઇ હોય તો માફ કરશો.

ઉંઝાની રમુજી વાતો

ઉંઝાની રમુજી વાતો - ચીરાગ પટેલ જુન 29, 2009

મીત્રો, ખોટું ના લગાડતાં. આ તો નેટ જગતમાં ઉંઝા પરના ટુચકા વાંચીને મને પણ ચાનક ચઢીને લખી માર્યું. કેવું લાગ્યું એ જણાવશો? હું બીજા બ્લૉગરની જેમ તમારી ટીપ્પણીઓ અને પ્રત્યુત્તરોને બ્લૉક નહીં કરું (જો અશ્લીલ કે અશીષ્ટ ભાષા નહીં હોય તો).

એક પ્રખ્યાત રૉક ગાયક/સન્ગીતકારના શબ્દો છે: It can’t happen here - is the number 1 on the list of famous last words! થોડીક રમુજી ઘટનાઓ:

— x - x - x —

1)
એક ભાઈ ઘરમાં બારી-બારણાં બન્ધ કરીને બેઠાં હતાં. મેં બારણું ખખડાવ્યું અને ખોલાયા બાદ જોયું કે, જે ભાઈને હું મળવા ગયો હતો તેઓ કોઈ અઘરો હઠયોગનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.
મેં પુછ્યું, “આ શું?”
તેમણે કહ્યું કે, “હઠયોગનું આ આસન કરતી વખતે તડકો કે પવન શરીરને લાગે તો ભન્ગ પડે, એટલે બધું બન્ધ કરીને બેઠો છું.”
મેં પુછ્યું, “ભલા માણસ. બહાર સરસ મજાનો કુમળો તડકો અને મન્દ-મન્દ વાતો પવન માણવાને બદલે આ શું કરવા બેઠા?”
તો કહે, “આ આસન સીધ્ધ થશે તો મારા શરીરમાં પુરતો પ્રાણવાયુ જશે અને મને વીટામીન ડીની ઉણપ નહીં રહે.”

2)
એકવાર એક ભણતો છોકરો પરીક્ષા પહેલાં માંદો પડ્યો. તેના દાદીમાએ સારો “ખુલાસો” થાય એટલા માટે ઉંઝાનું ઈસબગુલ ખાવા આપ્યું. છોકરો તો જાણે અભડાઈ ગયો હોય એમ દુર ભાગ્યો.
દાદીમાએ પુછ્યું તો તેણે જણાવ્યું કે, “હું તો જોડણીકોષના નીયમો ગોખતો હતો.”
દાદીમા પુછે, “શા માટે”.
છોકરો કહે, “કાલે પરીક્ષામાં 4 માર્કની જોડણીના પ્રશ્નો છે, એટલે.”
દાદીમા કહે, “અલ્યા, એ 4 માર્ક માટે આટલી મથામણ કરે છે અને માન્દો પડી ગયો! એના કરતાં બીજું બધું સુધારવા બેઠો હોત તો.”
છોકરો કહે, “દાદી, તને ના ખબર પડે. એ તો ગાન્ધીબાપુ ચીન્ધ્યો મારગ છે.”
દાદીમા કહે, “બેસ ચીબાવલા. ગાન્ધીબાપુનું બીજું બધું ભુલી બેઠો અને આ એક વાત પકડી રાખી. મુર્ખા, બાપુ જીવતા હોત તો તને આમ આંખે ડાબલા બાન્ધેલો ઘોડો ના થવા દીધો હોત.”

3)
એકવાર ઉંઝાવાદી અને સાર્થવાદી કૅમ્પીન્ગમાં ગયા (સાથે ગયા એ જ મોટી વાત છે). રાત્રે તમ્બુ તાણીને બધાં સુતા હતાં. મોડી રાત્રે વાવાઝોડાને લીધે બધાં જાગી ગયાં.
જાગ્યા બાદ સાર્થવાદી કહે, “અરે વાહ, શું નજારો છે? સરસ મજાના પહાડો, ચાન્દની રાત, ટમટમતાં તારલાં અને જોશભેર વાતો પવન. વાહ, વાહ, મજા પડી ગઈ.”
ઉંઝાવાદી કહે, “શું ખાક મજા પડી? અલ્યા, આપણો તમ્બુ ઉડી ગયો છે. એને શોધ પહેલાં.”

એક રસપ્રદ યજ્ઞ

એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009

સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.

ૐ

આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને ધોવડાવવામાં આવ્યો હતો) હજુ આજે પણ બન્કીમકાકા પાસે છે.

હવે, ફરીથી એ જ ફોટો નવી રીતે જુઓ.

ૐ

એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓની ઉપર છે અને બીજો નાનો ૐ કુન્ડના નીચેના ભાગે તૈયાર થઈ રહ્યો છે.

આપના પ્રતીભાવ આવકાર્ય છે.

શક્તીપાત દીક્ષા

શક્તીપાત દીક્ષા - ચીરાગ પટેલ એપ્રીલ 19, 2009

મેં અને પારુલે શક્તીપાત દીક્ષા લેવાનું ફેબ્રુઆરીમાં નક્કી કર્યું. એટલે મેં ધ્યાનયોગ કેન્દ્રનો સમ્પર્ક કર્યો અને ત્યાંથી તુલસી ગૉટફ્રેડ્સન સાથે સમ્પર્ક થયો. તેમણે મને દીક્ષા લેવા માટેની વીધી જણાવી અને આવેદનપત્રો મોકલ્યા. મારે અને પારુલે એ ભરીને મોકલવાના હતાં અને સાથે અમારો એક ફૉટો પણ મોકલવાનો હતો. સાથે જ દાનરુપે જે કંઈ આપવું હોય એ મોકલવાનું હતું.

શક્તીપાત એટલે ગુરુની આધ્યાત્મીક શક્તીનો શીષ્યમાં પ્રવેશ. એ માટે ગુરુની શારીરીક ઉપસ્થીતી હોય કે ના હોય, ગુરુના સન્કલ્પ માત્રથી શક્તીપાત થઈ શકે છે. શક્તીપાત એ કુન્ડલીની શક્તીનાં જાગરણનું કાર્ય કરતી કળ કે સ્વીચ છે. એમ કરવાથી શીષ્યની આધ્યાત્મીક પ્રગતી અકલ્પનીયરુપે ઝડપી બને છે, અને આ પ્રગતી દરેક જીવ માટે અન્તીમ લક્ષ્યરુપ જીવના શીવ-શક્તી સાથેના ઐક્યથી સમાપ્ત થાય છે. શક્તીપાતની અસર ત્રણ જન્મો સુધી રહે છે, અને એ યેનકેન પ્રકારેણ સાધકને અન્તીમ ધ્યેય સુધી પહોંચાડીને જ રહે છે. માર્ગમાં આવતાં વીઘ્નો દુર કરવા માટે ગણેશની પ્રાર્થના મદદરુપ બને છે.

મેં તુલસી સાથે અમુક ઈ-મેલની આપ-લે કરી અને તેમણે શક્તીપાત વીશેની અમુક શન્કાઓ દુર કરી. આખરે મેં જરુરી પત્રો અને ફૉટા સાથે દાનની રકમ ચેકથી મોકલી. હું સ્વામી વિવેકાનન્દને મારા ગુરુ તરીકે માનુ છુ. એટલે તેમણે અને ‘મા’ ભુવનેશ્વરીએ મારા માટે જે પથ નક્કી કર્યો હશે તે થઈને જ રહેશે, એમ માની આગળ વધવાનું નક્કી કર્યું. મેં આનન્દીમા અને બાપુજી - દીલીપજીને 11 જાન્યુઆરી, 2009ના રોજ નીકોરા ધ્યાનમન્દીરમાં પહેલ-વહેલી વાર જોયા હતાં. એ વર્ણન અગાઉના મારા ભારતપ્રવાસ વીશેના લેખોમાં જણાવી ગયો છું. આનન્દીમા વીશે “ચિત્રલેખા” સામયીકમાં લગભગ 2 વર્ષ પહેલાં મેં વાંચ્યું હતું. વળી, પારુલના નાના ભાભીનું મોસાળ નીકોરા ગામ હોવાથી મેં ધ્યાનમન્દીર વીશેનો લેખ ધ્યાનથી વાંચ્યો હતો. મને જાણે કે પુર્વતૈયારી કરવાની હોય એ રુપે દેવીપુરમ્ ના અમૃતાનન્દજી દ્વારા તૈયાર કરેલ શાસ્ત્રીયશુધ્ધ શ્રીયંત્ર લાભપાંચમને દીવસે નવેમ્બર 03, 2008ને સોમવારે મળ્યું હતું. વળી, ઑક્ટોબર, 2008માં અશ્વીન નવરાત્રીમાં પહેલવહેલી વાર અમે કુમારીકાભોજન અને નવચન્ડી હવન કર્યો હતો. આમ, જાણે ભાવીજીવનનો પાયો નંખાયો હોય એમ મેં ભારતમાં ઉતરતાવેંત જ નીકોરાની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું અને ફેબ્રુઆરી, 2009માં એકાએક શક્તીપાત દીક્ષા લેવાનું નક્કી કર્યું. આનન્દીમાનું “ગુરુ મારી બેલડીને…” ભજન યુટ્યુબ પર પહેલવહેલી વાર સામ્ભળી-જોઈને તો હું મન્ત્રમુગ્ધ થઈ ગયો હતો.

એપ્રીલ 12, 2009 રવીવારના રોજ પારુલના જન્મદીને મેં તુલસી સાથે વાત કરી અને ધ્યાન દોર્યું કે મેં પત્રો મોકલી આપ્યા છે. એ જ વખતથી મને લાગતું હતું કે શુક્રવારે કંઈક આવવું જોઈએ. એપ્રીલ 15, 2009 બુધવારથી મારા આજ્ઞાચક્રના સ્થાને સતત એક દબાણનો અનુભવ થવો શરુ થયો. શુક્રવાર એપ્રીલ 17, 2009ને દીવસે સાન્જે ઘરે આવ્યો ત્યારે જાણ્યું કે ધ્યાનયોગ કેન્દ્ર તરફથી એક પૅકેટ આવ્યું છે. એ પૅકેટને સ્પર્શતાવાર જ આજ્ઞાચક્ર પર દબાણ વધવા લાગ્યું. એ પૅકેટ પર લખ્યા મુજબ એપ્રીલ 15, 2009ના રોજ એ મોકલવામાં આવ્યું હતું! મને તો ચટપટી વધી ગઈ અને સાન્જે જ દીક્ષા લેવાનું નક્કી કરી દીધું. ઝટપટ હું, અને પારુલ ન્હાઈને તૈયાર થઈ ગયા. અમારા કરતાં વૃન્દને પૅકેટનું કુતુહલ વધુ હતું. પૅકેટ ખોલ્યું અને વાંચ્યા બાદ સમજાયું કે તરત દીક્ષા લેવી શક્ય નથી. એ માટે અમુક પુર્વતૈયારી જરુરી હતી. એટલે રવીવારે એ વીધી કરવી નક્કી કર્યું. મને એ વખતે આખાં કપાળ પર કપુરનો લેપ થયો હોય એમ ખુબ જ ઠન્ડક લાગી અને બહુ જ આનન્દ વ્યાપી વળ્યો. હસવાનું મન પણ થઈ આવ્યું.

શનીવાર એપ્રીલ 18, 2009 અમે 12 ગુલાબના ફુલ, 2 નાળીયેર, 2 સફરજન અને સ્ટ્રૉબેરીની ખરીદી કરી. અમારી પાસે શુધ્ધ સુતરાઉ આસન હતાં અને પારુલનાં મમ્મીએ શુધ્ધ ઉનનાં બે નવા આસનો કાઢી આપ્યાં. બપોરે અમે જાયન્ટ નામના ગ્રૉસરી સ્ટોર(કરીયાણાંની દુકાન!!!)માં બધું લેતાં હતાં ત્યારે મેં તુલસીને ફોન કરીને રવીવારે સવારે 9 વાગ્યે દીક્ષા લેવાનો સમય જણાવ્યો. મને મનમાં હતું કે જો આનન્દીમા સાથે વાત થાય તો કેવું સારું! અને તુલસીએ મને ફોન હૉલ્ડ કરવા જણાવ્યું. સામેથી એક સૌમ્ય પુરુષસ્વર સમ્ભળાયો કે, “હું બાપુજી બોલું છું.” મને શું કહેવું ખબર ના પડી, પણ 3-4 સેકંડમાં હોશ સમ્ભાળીને મેં આશીર્વાદ માંગ્યાં. દીલીપજીએ કહ્યું કે, “મા સાથે વાત કરો.” એકદમ મૃદુ, સૌમ્ય, અણીશુધ્ધ સ્ત્રીસ્વર સમ્ભળાયો અને મેં આનન્દીમા પાસે આશીર્વાદ માંગ્યાં. પછી પારુલે પણ આનન્દીમા સાથે વાત કરી. ફોન મુક્યા બાદ પાછાં ફરતાં મને એકાએક સીન્દુરની સુગન્ધનો 2-3 સેકન્ડ માટે અનુભવ થયો. મેં એ જગ્યે પાછાં ફરીને જોવાનો પ્રયત્ન કર્યો કે, કોઈ વસ્તુમાંથી એ સુગન્ધ આવે છે કે શું. પણ, ફરી એ સુગન્ધી ના મળી! અમે કાઉન્ટર પર નાણાં ચુકવીને ગાડીમાં બેઠાં. ત્યાં પારુલ બોલી કે તેને સીન્દુરની સુગન્ધ આવે છે. અમને લાગ્યું કે કદાચ ગુલાબનાં ફુલોની એ સુગન્ધી છે. પારુલને ઘણાં સમય સુધી એ સુગન્ધ આવી. મને તો એ ફરી ના જણાઈ.

સન્ધ્યાપુજા વખતે મેં ધ્યાનયોગ તરફથી મળેલ ભુતશુધ્ધી મન્ત્રનું લેમીનેટેડ પૉસ્ટર પારુલને બતાવ્યું. એમાં બતાવેલ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનનું ચીત્ર જેવું જ આબેહુબ ચીત્ર મારી મમ્મીએ વડોદરાથી 2 અઠવાડીયા પહેલાં મોકલાવ્યું હતું. આજના દીવસમાં લસણ અને ડુન્ગળી અમારે લેવાનાં નહોતા અને 12થી 18 કલાકનો ઉપવાસ કરવાનો હતો. હા, થોડું દુધ, પાણે કે જ્યુસ લઈ શકાય.

રાત્રે મને સરખી ઉન્ઘ ના આવી અને પેટમાં થોડી બળતરા થવા માન્ડી. સવારે સાત પહેલાં ઉઠી ગયો અને દાંત સાફ કર્યા બાદ થોડું દુધ ગરમ કરીને પીધું. પારુલને કશું જ નહોતું લેવું. હું, પારુલ અને વૃન્દ પરવારી ગયાં. મેં વૃન્દને સુચના આપી કે કોઈ પ્રકારનો અવાજ ના કરે અને ફોન આવે તો કરનારને એક કલાક બાદ કરવાનું કહેવું. મેં ‘મા’ને પ્રાર્થના કરીને શક્તીપાત દીક્ષાની તૈયારી કરી. પારુલે સુચન કર્યું કે ફુલ કે ફળને કોઈ ઋતુમાં આવેલી છોકરી કે સ્ત્રી અડકી હોય એટલે શુધ્ધી કરવી. હું જો કે એમાં માનતો નથે પરન્તુ પારુલનું સુચન થયું અને ધ્યાનયોગ કેન્દ્ર તરફથી આવેલી ચોપડીમાં પણ આ વાત લખી હોવાથી, દરેક વસ્તુ અને વસ્ત્રો પર ગન્ગાજળ છાંટીને શુદ્ધીનો ભાવ કર્યો. ત્યારબાદ લગભગ નવ વાગ્યે અમે સુચન પ્રમાણે શક્તીપાતની દીક્ષા લીધી અને લગભગ અડધા કલાક જેવું ધ્યાન કર્યું. દીક્ષાની વીગતો જાહેર કરવી યોગ્ય કે અયોગ્ય એ નીર્ણય હું કરી શકું એમ ના હોવાથી જાહેર નથી કરતો. જો ભવીષ્યમાં એ વીશે નીર્દેશ મળશે તો જરુરથી જણાવીશ.

હા, ધ્યાન પુરું થયા બાદ મેં અને પારુલે જે અનુભવ્યું એ જરુરથી તમને જણાવું છું. સહુપ્રથમ પારુલનો અનુભવ જાણીએ. પારુલને જ્યારે જ્યારે હું મારા અનુભવો કે સ્વપ્નદર્શન જણાવતો ત્યારે તે હમ્મેશા મને કહેતી કે તેને જ કેમ કોઈ અનુભવ નથી થતાં. પણ, શક્તીપાત દીક્ષા બાદ તેણે જે અનુભવ્યુ તે જાણીએ. તેણે મને શનીવારે જ જણાવ્યું હતું કે, જો તેને કોઈ પણ અનુભવ ના થયા તો પણ તે ખાલી ખોટું નહીં જણાવે. આમ પણ પારુલ હમ્મેશા જે તેને સાચુ લાગ્યું કે અનુભવાયું હોય તે જ કહેતી હોય છે અને તે પણ શબ્દો ચોર્યા વગર! પારુલ કદી પણ પાંચ મીનીટથી વધુ ટટ્ટાર બેસી શકતી નથી. તેને ટેકાની જરુર પડતી જ હોય છે. આજે તે અડધો કલાક કોઈ પણ પ્રયાસ કે દુ:ખાવા વગર બેસી શકી. હા, તેને પગમાં ખાલી ચઢી ગઈ, પણ એ અસહનીય તો નહોતું જ. ધ્યાનમાં તેને ગરદનથી શરુ કરીને પેટના ભાગ સુધીની કરોડરજ્જુમાં ઠન્ડકનો અનુભવ થયો, જાણે કરોડરજ્જુમાં બરફીલું ઠન્ડુ પાણી ભરી દીધું હોય. આ ઠન્ડક તેનાં ફેફસામાં અને હ્રદયમાં પણ ફરી વળી. તેને માથું એકદમ ભારે લાગ્યું. ધ્યાન બાદ તેને ખુબ જ આરામ અને આનન્દનો અનુભવ થયો, તથા માથાનો દુ:ખાવો પણ ગાયબ થઈ ગયો. તેને શરીર ખુબ હળવું લાગ્યું, ખુબ સ્ફુર્તી અને મુક્તીનો અનુભવ થયો અને સારું લાગ્યું.

હવે, મારો અનુભવ જાણીએ. ધ્યાનમાં ટટ્ટાર બેઠાં બાદ મારુ માથુ સહેજ ઉંચુ થઈ ગયું. મને આજ્ઞાચક્ર અને નાકના અડધા ભાગ સુધીના પ્રદેશમાં ખુબ જ દબાણનો અનુભવ લગભગ સમગ્ર ધ્યાન દરમ્યાન રહ્યો. મારું શરીર જાણે લોખન્ડનો બનેલો ગોળો હોય એવો અનુભવ થયો અને એ ગોળો જાણે જમીન સાથે બળપુર્વક ખોડાઈ રહ્યો હોય એવું લાગ્યું. મારા વજનદાર લોખન્ડી શરીરનો ભાર પણ મને અનુભવાયો. ધ્યાન દરમ્યાન અલપ-ઝલપ 1-2 સેકન્ડના અનેક દ્રશ્યો દેખાયાં. કોઈનો ચહેરો, સીંહની બાજુમાં બેઠો હોઉં અને સીંહનો જમણી બાજુનો ચહેરો અને ડોક દેખાય એવું દ્રશ્ય, એક નદી અને એના પર દુર દેખાતો પુલ, હું નદીના પુલની રેલીન્ગ પર ચાલતો હોઉં અને નીચે નદી દેખાતી હોય, વગેરે દ્રશ્યો મને દેખાયાં. મારા શરીરમાં કમર નીચે જાણે કશું જ ના હોય એવો અનુભવ સમગ્ર ધ્યાન દરમ્યાન રહ્યો. સમ્પુર્ણ ધ્યાન દરમ્યાન મોટે ભાગે એકાગ્રતા ટકી રહી.શ્વાસોચ્છવાસ ખુબ જ ધીમાં પડી ગયાં અને આંખો ઘણી જ અસ્થીર થવા લાગી.

અમે એ પણ અનુભવ્યું કે શનીવારે અનુભવેલી સીન્દુરની સુગન્ધ ગુલાબનાં ફુલોની નથી. વળી, જ્યારે પણ હું ધ્યાનયોગી મધુસુદનદાસજી અને આનન્દીમાનો ફૉટો જોઉં ત્યારે આજ્ઞાચક્ર પર દબાણ અનુભવું છું. ધ્યાનકેન્દ્ર તરફથી મળેલી માર્ગદર્શીકા મુજબના મને થયેલાં અનુભવોની સુચી બનાવું તો અત્યાર સુધી (શક્તીપાત દીક્ષા લેતાં પહેલાંના) થયેલા અનુભવો આ મુજબ છે:

- હું વર્ષોથી સ્વામી વિવેકાનન્દની રાજયોગ પુસ્તીકામાં કરેલા વર્ણન પ્રમાણે ધ્યાન કરું છુ.
- મને એકવાર સ્વપ્નમાં એક દાઢીધારી વૃધ્ધ સન્તના દર્શન થયાં હતાં. આ સન્તનો દેખાવ ધ્યાનયોગીજીને ઘણે અન્શે મળતો આવે છે.
- જાન્યુઆરી 13, 2009 મન્ગળવારે નારેશ્વરમાં ધ્યાનમાં દેખાયેલા સન્ત પણ દેખાવે ધ્યાનયોગીજીને મળતાં આવે છે.
- મને ઘણીવાર અન્ત:પ્રેરણા થતી હોય છે.
- જ્યારે ધ્યાન ગાઢ બને ત્યારે મને સતત ઘન્ટડીનો રણકાર સમ્ભળાય છે.
- લગભગ મહીનાથી હથેળીઓ અને પગનાં તળીયે જે તે અન્ગમાં તકલીફ હોય એના દબાણબીન્દુઓ એમનેમ જ દુ:ખી આવે છે. જાણે કોઈએ બહારથી દબાણ આપ્યાં વગર જ એ બીન્દુઓ દબાવી દીધાં હોય એવો અનુભવ થાય છે. એ દુ:ખાવો મટી જાય ત્યારે એને સબન્ધીત અન્ગમાં પણ સારું થતું હોય એવું લાગે છે.
- જ્યારે કોઈ શક્તી કે પ્રાણવાન સ્થળ કે વસ્તુનો સમ્પર્ક થાય ત્યારે આજ્ઞાચક્ર પર દબાણનો અનુભવ થાય છે.

અમારા નવા અનુભવો ભવીષ્યમાં જણાવતો રહીશ. પ્રણામ.

2009 ભારતયાત્રા 4

2009 ભારતયાત્રા 4 - ચીરાગ પટેલ ઍપ્રીલ 10, 2009

જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 2

નારેશ્વર ગામથી ભરુચ તરફની દીશામાં નર્મદાના કીનારે લગભગ 3 કીલોમીટર દુર દીવાબેટ કે દીયાબેટ નામની જગ્યા છે.

અમે બે-ત્રણ વખત અલગ ઉમ્મરની વ્યક્તીઓને પુછતાં દીવાબેટ જવાના રસ્તે પહોંચ્યા. ત્યાં જવાનો રસ્તો કાચો હતો. થોડે દુર ગયા બાદ રસ્તા વચ્ચે પાણીનો વહેળો આવી જવાથી અમે કારને પાછળ મેદાનમાં પાર્ક કરવાનો વીચાર કર્યો. હજુ ખાસ્સુ ચાલવાનું હોવાથી મમ્મીએ કારમાં જ રોકાવાનું નક્કી કર્યું. મારો ભાઈ પણ કારમાં જ રોકાયો. એટ્લે હું તથા દીગંત ચાલતાં નીકળી પડ્યાં. અમને એવું જણાવવામાં આવ્યું કે ખેતરો વચ્ચેથી બહુ જલ્દી પહોંચી જવાશે.

થોડે-થોડે અંતરે પુછતાં અને પુછતાં નર પંડીત થતાં અમે દીવાબેટ નજીક પહોંચવા આવ્યાં. અમારી ચારે બાજુ દીવેલીયા, કપાસ અને ગુલાબનાં ખેતરો હતાં. અમારે ક્યાંક-ક્યાંક પાણીની નીકને વળોટીને જવા માટે થોડું કુદવું પણ પડતું હતું. લગભગ દરેક ખેતરમાં કોઈને કોઈ તો અમને કામ કરતું મળતું હતું, એટલે નસીબનાં બળીયા એવા અમે ભુલ્યાં વગર આગળ વધી રહ્યાં હતાં. અમે લગભગ નીચે જોઈને ચાલતાં હતાં. અહીં એક તો, અમુક ખેતરોમાં પાણી છોડ્યું હતું અને બીજું, કદાચ કોઈ સાપ કે બીજું કોઈ પ્રાણી અમારી અડફેટે ચઢી ના જાય એ ધ્યાન રાખવું પડે એમ હતું. એટલે અમે નીચે જોઈને ચાલતાં હતાં. એક ખેતરમાં માંચડાં પર બે ખેડુતો બેઠાં હતાં. અમારાથી ખાસ્સાં દુર હોવા છતા તે અમારી વાત સામ્ભળી ગયાં અને અમને આગળ વધવાનો ચોક્કસ રસ્તો બતાવી દીધો. મેં દોઢ ડહાપણ બતાવવાં “થેંક યુ” કહ્યું. તો સામેથી જવાબ મળ્યો - “મેન્શન નૉટ”! મેં દીગંતને પુછ્યું કે અહીં આવી જગ્યે તેણે આ જવાબની આશા રાખી હતી? અમને આશ્ચર્ય અને આનન્દ બન્નેની લાગણી થઈ. માર્ગમાં વચ્ચે નર્મદાનો સુકો પટ આવ્યો, જેને ઓળંગીને એક ટેકરી જેવી જગ્યે જવાનું હતું. ચોમાસામાં અહીં નદી વહેતી હશે એવું મને જણાયું અને એટલે જ કદાચ પેલી ટેકરી દીવાબેટ તરીકે ઓળખાતી હશે એમ લાગ્યું. અમે છેવટે દીવાબેટ પહોંચી ગયાં.

વાહ, અહીં તો ચારેબાજુ સુંદર વૃક્ષોનું અડાબીડ અને વચ્ચે એક મન્દીર જેવું સ્થળ હતું. વાતાવરણમાં પ્રગાઢ શીતળતા વ્યાપ્ત હતી. મન્દીરની બાજુની જગ્યામાં 3-4 મકાનો હતાં. અહીં બધે જ શાંતી, સાદગી અને પવીત્રતાનો અનુભવ થતો હતો. અમને એક બહેન અને એક ભાઈએ ઑફીસ જેવી જગ્યે આવીને નામ, સરનામુ અને સમ્પર્ક લખવા કહ્યું. એ બહેને અમને પટ્ટો, ઘડીયાળ, વૉલેટ, ફોન બધું ત્યાં મુકી દેવા કહ્યું, તથા બુટ-ચમ્પલ કાઢવાની જગ્યા બતાવી. મારાં વૉલેટમાં લગભગ દશ હજાર રુપીયા હતાં, પણ મને સ્થળ જોઈને કોઈ શંકા લાવવું ઉચીત ના લાગ્યું. અમે બધું મુકી દીધું. પછી એક ભાઈએ આવીને કહ્યું કે, અમારે ધોતીયું પહેરવું પડશે. હવે, અમારી પાસે તો ધોતીયું હોય નહીં એટલે અમે તેમને જ વ્યવસ્થા કરવા કહ્યું. તેમણે એક ઓરડીમાં જઈને બદલવા માટે બે ધોતીયાં આપ્યાં. ત્યાં અમે એક સુચના લખેલી જોઈ. એ મુજબ, પુરુષોએ ધોતીયું અને સ્ત્રીએ સાડી પહેરવી એવું સુચન હતું. અમે પેન્ટ કાઢીને ધોતીયાં પહેરી દીધાં. મને ધોતીયું પહેરવાની થીયરી ખબર હતી એટલે લગભગ સારી રીતે પહેરી શક્યો. એક આડવાત. મેં અમેરીકા પાછાં ફરતી વખતે પ્રેમજી અમ્બામાંથી એક સરસ ભગવા રંગનું પીતામ્બર ખરીદી લીધું. હવે તો હું અલગ-અલગ રીતે ધોતીયું સરસ પહેરી શકું છું.

દીવાબેટમાં દરેક પુરુષોએ ધોતીયાં પહેરેલાં હતાં તથા દરેક સ્ત્રીએ સફેદ સાડી પહેરેલી હતી. અહીં બધાં જ ખુલ્લાં પગે ફરતાં હતાં. આ સ્થળ એટલું વ્યવસ્થીત હતું કે ખુલ્લાં પગે ફરવાની ખરેખર મજા આવી ગઈ. એક આધેડ વયના ભાઈ અમને મન્દીરમાં લઈ ગયાં. ત્યાં એક ખન્ડમાં સતત 24 કલાક દત્તબાવનીના પાઠ થાય છે. મુખ્ય મન્દીરમાં રંગ અવધુતની મુર્તી છે. એની ઉપર તેમના ગુરુ વાસુદેવાનન્દસરસ્વતીની મુર્તી છે. અમારાં માર્ગદર્શક ભાઈએ અમને કહ્યું કે આ સ્થળ પર અવધુતના શીષ્ય રહે છે. અઠવાડીયે માત્ર એક જ વાર તેઓ બધાંને મળે છે, બાકીનો સમય તો તેઓ મૌનમાં અને સાધનામાં જ રત હોય છે અને કોઈને મળતા નથી. રંગ અવધુત વીશે વધુ માહીતી અહીં મળી શકશે: http://www.nareshvar.org/.

હું અને દીગંત બધું જોતાં હતાં. ત્યાં એકાએક મન્દીર તરફ ક્યાંકથી એક વયોવૃધ્ધ વ્યક્તી ઉતાવળે આવી પહોંચી. તે જ આ સ્થળના સંત હતાં. તેઓ લગભગ રંગ અવધુત જેવાં જ દેખાતાં હતાં. તેઓ શરીરે ભરાવદાર અને નીચી કાઠીના હતાં. તેમના માથે સમ્પુર્ણ સફેદ વાળ હતાં. તેમની દાઢી પણ શ્વેતકેશથી સજ્જ હતી. અમારા ભોમીયાભાઈએ જણાવ્યું કે એ જ બાપજી હતાં. અમે તેમને પ્રણામ કર્યાં. તેઓ અમને 10-15 સેકંડ જોતાં રહ્યાં. તે કદાચ થોડાં આશ્ચર્યમાં પડી ગયાં હોય એવું લાગ્યું. કશું જ બોલ્યા વગર, એકાએક જ તેઓ રીતસર દોડતાં પાછાં એમના ખંડમાં જતાં રહ્યાં. અમે બાદમાં 5-10 મીનીટ રોકાઈને ઑફીસે પાછાં ફર્યાં. ધોતીયું ઉતારીને અમે પેંટ ચઢાવ્યાં. ત્યારે અમે એક નાની છોકરી ઑફીસમાંથી નીકળીને બીજી તરફ જતી જોઈ. અમારા માર્ગદર્શક ભાઈએ જણાવ્યું કે એ અહીંના મુખ્ય વ્યવસ્થાપક બહેન હતાં. અમને ખુબ જ આશ્ચર્ય થયું. એ બહેન તો મને 12-13 વર્ષની છોકરી હોય એવાં લાગ્યાં હતાં.

અમે કાર પાર્ક કરેલા મેદાન તરફ જવા માટે હવે મુખ્ય રસ્તો લેવાનું નક્કી કર્યું. સાંજ ઢળવા આવી હતી એટલે ખેતરોનો રસ્તો લેવું થોડું અગવડભર્યું હતું. મુખ્ય રસ્તે અમે બહુ જ સહેલાઈથી મમ્મી અને કુણાલ હતાં એ જગ્યે પહોંચી ગયાં. રસ્તો થોડો લામ્બો હતો, પણ સહેલો હતો. જો વચ્ચે ખેતરોમાં પાણી છોડવામાં ના આવ્યું હોત તો કાર લઈને પણ અમે બધાં છેક મન્દીર સુધી જઈ શક્યાં હોત!

આમ, અમારો નારેશ્વર પ્રવાસ પુરો થયો. ભવીષ્યના જીવન માટેનો એક આદર્શ અને સાચી આધ્યાત્મીક્તાનું મને દીવાબેટમાં દર્શન થયું. રાત્રે લગભગ 9 વાગ્યે અમે વડોદરા પાછાં આવી ગયાં. રાત્રે જીજ્ઞા, શીતલ (દીગંતની પત્ની) અને ફોરમ (દીગંતની દીકરી) અમને જુના પાદરા રોડ પર પંખીવૃત્ત (બર્ડ સર્કલ) આગળ મળ્યાં અને અમે લારી પર મઝાનું તીબેટીયન ચાઈનીઝ ખાણું ઝાપટ્યું. મને હક્કા નુડલ્સ, મંચુરીયન ખાવાની મજા પડી ગઈ. પછીના દીવસે ઉતરાણ હોવાથી રસ્તા પર સખત ભીડ હતી. ત્યાં પતંગ અને ફીરકીનાં સ્ટૉલ પર હરાજીઓ ચાલતી હતી. વાહ, ભીડની પણ પોતાની મજા હોય છે!

સ્ટ્રીંગ થીયરી

સ્ટ્રીંગ થીયરી - ચીરાગ પટેલ માર્ચ 30, 2009

સુરેશદાદાએ મને ઈ-મેઈલમાં સુપરસ્ટ્રીંગ થીયરી (superstring theory) વીશે સમજાવવા પુછ્યું હતુ. મને થયું કે મારી અલ્પબુધ્ધીમાં જે ઉતર્યું છે એના પરથી એક લેખ જ લખી નાંખું તો કેવું. એટલે, તમારા પર વધુ એક હથોડો ઝીંકવાનો પ્રયત્ન કરું છું!!!

સહુપ્રથમ તો આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/List_of_string_theory_topics

સ્ટ્રીંગ થીયરી (string theory) મુળ તો 20-25 વર્ષ પહેલાં બહેતી કરવામાં આવી હતી અને એને ToE થીયરી ઑફ એવરીથીંગ (theory of everything) તરીકે પ્રચલીત કરવામાં આવી હતી. ધીરે-ધીરે કુલ પાંચ સ્ટ્રીંગ થીયરી અસ્તીત્વમાં આવી. હું એ ઈતીહાસ ડહોળવાને બદલે મારી સમજણ ઉલેચવાનું વધુ જરુરી સમજુ છું. (ગુગલ તો બધું સાહીત્ય ફંફોળી આપશે જ.)

ઈલેક્ટ્રોન, પ્રૉટોન વગેરે જેવાં કુલ 96 કણ કે પાર્ટીકલ (particle) વીશે ભૌતીકવીજ્ઞાનીઓ જાણે છે (http://en.wikipedia.org/wiki/List_of_particles). મુખત્વે આ કણને બે ભાગમાં વહેંચવામાં આવે છે: બોસોન (boson) (સત્યેન્દ્રનાથ બોઝ પરથી http://en.wikipedia.org/wiki/Satyendra_Nath_Bose) અને ફર્મીઓન (fermion) (એનરીકો ફર્મી પરથી http://en.wikipedia.org/wiki/Enrico_Fermi). બોસોન એટલે ઉર્જા કે શક્તીકણો જેમ કે ફૉટોન (photon) (પ્રકાશ), ગ્રેવીટોન (graviton) (ગુરુત્વાકર્ષણ). ફર્મીઓન એટલે દ્રવ્યકણો જેમ કે, ઈલેક્ટ્રોન (electron), ન્યુટ્રીનો (neutrino).

હવે, સ્ટ્રીંગ થીયરી મુજબ કણને બદલે એક લાંબી દોરીની સંભાવના લેવામાં આવે છે. આ દોરીના બન્ને છેડાં છુટા હોઈ શકે અથવા એકબીજા સાથે જોડાયેલા પણ હોઈ શકે. હવે આ દોરીમાં આન્દોલન ઉત્પન્ન થાય છે એમ ધારી લો, તો એની જે આવૃત્તી (frequency) હોય એ પ્રમાણે બોસોન કે ફર્મીઓન પ્રકારનાં કણ (દ્રવ્ય, ઉર્જા) આપણે અનુભવી શકીએ. જેમ આવૃત્તી વધુ તેમ દ્રવ્ય વધુ અથવા ઉર્જા વધુ. દરેક દોરીમાં સમ્પુર્ણ તરંગો ઉદ્ભવે એ રીતની આવૃત્તી જ સમ્ભવી શકે છે. એક તરંગમાં એક ગર્ત અને એક શૃંગ હોય છે. સ્ટ્રીંગ થીયરીની દોરીમાં શૃંગ એટલે ધનાત્મક ભુ-ઉર્જાવાળા(ground energy) કણ જેમ કે ફૉટોન, અને ગર્ત એટલે ઋણાત્મક ભુ-ઉર્જાવાળા કણ જેમ કે ફૉટીનો. હવે, જો શૃંગવાળો કણ બોસોન પ્રકારનો હોય તો ગર્તનો કણ હમ્મેશાં ફર્મીઓન પ્રકારનો હોય. આવી રીતે આખું બ્રહ્માંડ રચાવાથી બોસોન અને ફર્મીઓન કણની સંખ્યા સરખી બેસે તથા એમની કુલ ભુ-ઉર્જાનો સરવાળો શુન્ય થાય અને સંતુલન સમ્ભવી શકે.

બ્રહ્માંડ કુલ 10 કે 11 પરીમાણનું બનેલું છે. આપણે માત્ર 4 - 3 અવકાશના અને 1 સમય - અનુભવી શકીએ છીએ. બાકીના પરીમાણ ખુબ જ ઓછી ઉર્જા કે લઘુ અવકાશને લાગુ પડે છે. સ્ટ્રીંગ થીયરી 4થી વધુ પરીમાણનું ગાણીતીક મોડેલ સમજાવી નથી શકતી, એટલે હવે M-theory કે p-brane થીયરી પ્રચલીત બની છે. આ થીયરીમાં દરેક સ્ટ્રીંગ થીયરીનો સમાવેશ થઈ જાય છે, અને એ ક્વૉંટમ અને ખગોળીય પદાર્થોની વર્તણુંક સમજાવી શકે છે.

2009 ભારતયાત્રા 3

2009 ભારતયાત્રા 3

જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 1

આજનો દીવસ મેં પહેલેથી નક્કી રાખ્યો હતો. મારે આ દીવસ માત્ર મારી જાત સાથે ગાળવો હતો! કદાચ અત્યાર સુધીના જીવનમાં મેં માત્ર અને માત્ર એકલતામાં મારી જાત સાથે સમય કાઢ્યો જ નહતો. આવો મહામુલો અવસર આજે મને પ્રાપ્ત થવાનો હતો (જો જો પાછા મારા આ વીચારની પારુલ આગળ ચાડી ના ખાતાં!!!)! મને નર્મદા નદીનાં કીનારાનો પ્રદેશ અને નર્મદાનાં પવીત્ર નીરનું અદમ્ય આકર્ષણ છે. આમ તો નર્મદા કીનારે બહુ ઓછું ફરેલો છું. પણ, જ્યારે ગયો છું ત્યારે જે અનુભુતી થાય છે એનું વર્ણન કરી શકું એમ નથી. છતાંય થોડો પ્રયત્ન કરીશ.

હું, કુણાલ (ભાઈ), મમ્મી અને દીગંત (મીત્ર) - ચાર જણાં નારેશ્વર જવા નીકળી પડ્યાં. રસ્તામાં નૅશનલ હાઈવે 8 પર કંડારી ગામ પાસે પોંક પાડનારાં બેઠાં હતાં. એક જગ્યે અમે રોકાયા અને 1 કીલોગ્રામ પોંકનો નીર્દેશ આપી દીધો. વાહ, લીલોછમ પોંક અને રતલામી ઝીણી-તીખી સેવ ખાવાનો જલસો પડી ગયો! અમે પાછા નારેશ્વરના રસ્તે ચઢી ગયા. કરજણ ગામે અમે હાઈવે પરથી અન્દરનો રસ્તો લીધો. લગભગ 10 વાગ્યે નારેશ્વરની સીધ્ધભુમી પર પહોંચી ગયા.

રંગ અવધુત આશ્રમના ચોગાનમાં ગાડી પાર્ક કરીને અમે નીકળી પડ્યાં. મેં એકલાએ નદી તરફ જમણા કીનારા તરફની વાટ પકડી. કુણાલ, દીગંત અને મમ્મી આશ્રમમાં રોકાયા. નર્મદાનાં દર્શન કરીને ખુબ આનન્દ થયો. હું જમણી તરફ નજીક એક વડ તરફની જગ્યા જોઈને એ બાજુ ગયો. મેં ત્યાં એક અલગારી સાધુને જોયા અને એ ફક્કડ ગીરધારી સાધુ પોતાની મસ્તીમાં ત્યાં બેઠો હતો. હું થોડો આગળ ગયો અને વડ નીચે બેસવા ગયો ત્યાં જ માતાજીની છબી દેખાઈ. કોઈએ પુજા કરીને એ છબી એમ જ મુકી રાખી હશે! મેં મનોમન વંદન કર્યાં અને બેઠો. નજીકમાં બહુ જ શોરબકોર થતો હતો. કદાચ થોડાંક છોકરાંઓનું એક વૃન્દ ઉજાણી માટે નારેશ્વરનાં નર્મદા કીનારે આવ્યું હતું (?). હું શહેરના કોલાહલને છોડીને તો અહીં આવ્યો હતો અને છતાંય એ કોલાહલ તો અહીં પણ મળી ગયો. એટલે મને અસુખ લાગ્યું અને મેં થોડાં અંતરીયાળ વીસ્તારમાં જવાનું નક્કી કર્યું.

જમણી બાજુ ચાલતો ચાલતો લગભગ એકાદ કીલોમીટર સુધી પહોંચી ગયો અને લાગ્યું કે હવે શાંત જગ્યા મળી. એક ઝાડ જોઈને હું એની છાયામાં બેઠો. લગભગ બે કલાક જાત સાથે સંવાદનો સેતુ સાધ્યો. ફરી એકાદ કલાક બધું અવલોકન કરતો બેઠો. નર્મદાનું મધુરું પાણી, મઝાનો કીનારો, સામે દેખાતાં ખેતરો, ચરતી ભેંસો. વાહ, સરસ વાતાવરણ! પણ, આ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન અશાંતી ખુબ હતી. આટલી સરસ મઝાની જગ્યા પર વ્યાપારીવૃત્તી અને કોલાહલનું વરવું પ્રદર્શન જોઈને ગ્લાની વ્યાપી ગઈ! રંગ અવધુત ગયા અને નારેશ્વરની પવીત્રતા ગઈ એવું મને લાગ્યું.

એ જગ્યેથી થોડો આગળ વધ્યો અને રસ્તામાં મરેલા સાપનું શબ અથડાતાં રહી ગયું! આગળ જતાં જોયું તો ત્યાં ટ્રકની અવર-જવર હતી!!! જય દત્તાત્રેય, જય રંગ અવધુત, જય નર્મદામૈયા, જય નારેશ્વર!

હું પાછો ફર્યો અને કીનારે દેખાતી ઝુંપડીનુમા દુકાનોમાંથી એક દુકાને બેઠો. હું ખાટલા પર બેઠો. ત્યાં સરસ મઝાનો કંતાનનો મંડપ બાંધેલો હતો. ત્યાં ચાની લારી ચલાવતાં એક ભાઈ અને બહેન બેઠાં હતાં. મેં એમની સાથે વાતચીત શરુ કરી. બન્ને ખુબ જ ગરીબ લાગતાં હતાં, પણ બહુ જ સ્વમાની અને પ્રામાણીક લાગ્યાં. તે બીચારાં પૈસાનાં અભાવે છોકરાંઓને ભણાવી નહોતા શકતાં એનું દુઃખ સ્પષ્ટ ઝળકતું હતું. મેં તેમને ચા બનાવવા કહ્યું અને મજ્જેની ચા પીધી. મેં એમને વધુ પૈસા આપ્યાં અને છોકરાંઓ માટે ચોપડીઓ લાવવાની સુચના આપી. એ ભાઈ મને કહે કે, “ભાઈ, હું તમને ક્યારનો જોતો હતો. મને લાગ્યું કે આ કોઈ બહુ શાંત અને અલગ વ્યક્તી લાગે છે. મને ગમ્યું.” એટલે પછી મેં મને જે લાગ્યું એ કહ્યું. એ ભાઈએ મને કહ્યું કે, “જો તમારે શાંત અને પવીત્ર વાતાવરણ જોઈતું હોય તો દીવાબેટ જાઓ. ત્યાં રંગ અવધુતના એક શીષ્ય રહે છે.”

હું રંગ અવધુત આશ્રમ પાછો ફર્યો. આશ્રમમાં અવધુતની મુર્તી આગળની જગ્યામાં ધ્યાનમાં બેઠો. પાછળ રુકમાની મુર્તી! લગભગ 25 મીનીટ ધ્યાનમાં બેઠો. ચીરપરીચીત વર્તુળ પાછું આજ્ઞાચક્રમાં દેખાવા લાગ્યું. એ દરમ્યાન એક ભવ્ય દાઢીધારી મુર્તી અલપઝલપ દેખાઈ. ખુબ જ શાંતી લાગી.

પછી આશ્રમમાં બધે ફર્યો. એટલામાં મમ્મી, કુણાલ અને દીગંત આવ્યાં. પછી અમે ત્યાંની દુકાનમાં બે ઑડીયો સીડી ખરીદી. ત્યાં ઑફીસમાં સુભાનપુરા-વડોદરાના એક કાકા સાથે પરીચય થયો. થોડીવાર બાદ દીવાબેટ જવા નીકળ્યાં.

આગળનું વર્ણન હવે પછીનાં હપ્તે! ફૉટાઓ જુઓ: http://public.fotki.com/chipmap

- ચીરાગ પટેલ માર્ચ 15, 2009

2009 ભારતયાત્રા 2

2009 ભારતયાત્રા 2 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 15, 2009

જાન્યુઆરી 12, 2009 સોમવાર

આ દીવસ સ્વામી વિવેકાનન્દનો જન્મદીવસ છે અને ભારતમાં “યુવાદીન” તરીકે એની ઉજવણી થતી હોય છે (સરકારી ચોપડે). વડોદરામાં રામકૃષ્ણ મીશન તરફથી એક મેમોરીયલ નામે “રામકૃષ્ણ મીશન વિવેકાનન્દ મેમોરીયલ” શરુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર જ્યાં શરુ કરવામાં આવ્યું છે એ બંગલો અલકાપુરી વીસ્તારમાં આવેલો છે અને “દીલારામ બંગલો” નામે ઓળખાય છે. સ્વામી વિવેકાનન્દ જ્યારે પરીવ્રાજક તરીકે આખા ભારતમાં ફર્યાં હતાં ત્યારે એપ્રીલ 1892માં વડોદરામાં આ બંગલા ખાતે રોકાયા હતાં. આ બંગલો તે વખતનાં વડોદરા રાજ્યના દીવાન શ્રી મણીલાલ જે.નાં રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આવા ઐતીહાસીક મહ્ત્વ ધરાવતાં બંગલા અને કેન્દ્રની પ્રવૃત્તી વીશે વધુ માહીતી આ લીંક પર મળી રહેશે: http://www.rkmvm.com/vadodara/meoriable.asp.

આજના દીવસે કેન્દ્રમાં સ્વામીજીની એક વીશાળકાય પ્રતીમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તત્કાલીન રાજ્યપાલ શ્રી નવલકીશોર શર્માના અધ્યક્ષપણે એ કાર્યક્રમ બપોરના લગભગ 4 વાગ્યે પુરો થવાનો હતો એટલે મેં કેન્દ્રની મુલાકાત માટે સાંજનો સમય પસંદ કર્યો. બીજું, મારી ખાસ ઈચ્છા કેન્દ્રના સંચાલક સ્વામી નીખીલેશ્વરાનંદજીને મળવાની હતી. ભીડભાડમાં તેમને મળવું લગભગ અશક્ય જ હોય એટલે સાંજનો સમય વધુ અનુકુળ આવે.

રામકૃષ્ણ મીશનના મંદીરો કે કેન્દ્રોની વીશેષતા એ હોય છે કે, તેમાં ધ્યાનખંડ મુખ્ય હોય છે. આ ખંડમાં ત્રીમુર્તી - સ્વામી વિવેકાનન્દ, રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણીદેવી -નાં ફોટાં કે મુર્તીઓ હોય છે. મીશનનાં અનુયાયીઓ ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ)ને મા કાલીનું જ એક સ્વરુપ માને છે. ઠાકુરના જ શબ્દોમાં - જે રામ હતાં, જે કૃષ્ણ હતાં, એ જ હવે સદેહે અહીં છે. નરેન, એ પણ તારી વેદાંતની દ્રષ્ટીએ નહીં, પરંતુ સાક્ષાત સદેહે - વીશ્વાસ મુકીએ તો જે પરમ તત્વ છે તેનાં અંશસ્વરુપ અવતાર તેઓ હતાં.

સાંજે લગભગ 6 વાગ્યે અમે કેન્દ્રમાં પહોંચી ગયા. મુખ્ય ધ્યાનખંડમાં કોઈ બંગાળી ભજન ગવાતું હતું. મને શબ્દો તો ખબર ના પડ્યાં, પરંતુ ભાવ મનને સ્પર્શી ગયો. હું ત્યાં બેઠો બેઠો ઠાકુરનાં ફોટાને જોયા કરતો હતો. ફોટામાં મને એકાએક ચૈતન્યનો આભાસ થયો! કોઈ જીવંત વ્યક્તી જાણે સ્થીર થઈને બેઠાં હોય એવો જ ભાવ મને જાગ્યો. લગભગ 10 મીનીટ સુધી મને એવો ભાસ થયા કર્યો. સાથે સાથે મને પરમ શાંતીનો અનુભવ થતો ચાલ્યો, અને મેં આજ્ઞાચક્રમાં ધ્યાન કરવાનું શરું કર્યું. મને પેલું ચીરપરીચીત નીલા રંગનું વર્તુળ દેખાવું શરું થઈ ગયું. મનમાં ઉઠતાં દરેક તરંગો એ વર્તુળરુપી કેન્દ્રમાં લીન થતાં ચાલ્યાં. પાંચેક મીનીટ બાદ હું ધ્યાનમાંથી ઉઠ્યો.

ધ્યાનખંડના પ્રવેશદ્વાર પર ઠાકુરનાં જીવનનાં ઘણાં પ્રસંગો ચીત્રીત કરવામાં આવ્યાં છે. એ બધાં ચીત્રો જોવાની ખુબ મજા પડી. નીચે ઉતરવાનાં પગથીયાં પાસે પરસાળમાં હીમાલયનું એક વીશાળ ચીત્ર હતું. એ જોઈને મારો એક જુનો વીચાર પાછો સળવળવા માંડ્યો. મારી એવી ઈચ્છા છે કે, જ્યારે હું ઘરમાં એક અલાયદો મંદીર માટેનો ખંડ બનાવીશ ત્યારે એમાં દીવાલોને ઢાંકી દે એટલાં મોટાં હીમાલયનાં પોસ્ટર મુકીશ. ત્યાં બેસતાં જ એવો આભાસ થવો જોઈએ કે જાણે હીમાલયની વચ્ચે મંદીર આવેલું છે. અહીં અમેરીકામાં આબેહુબ સાચી લાગે એવી છત બનાવી આપતી વેબસાઈટ જુઓ: http://www.theskyfactory.com/

નીચે એક કચેરી જેવા ઓરડામાં સ્વામી નીખીલેશ્વરનન્દજીને મળી શકાય એમ હતું. અમે ત્યાં બેઠાં અને સ્વામીજીની રાહ જોવાં લાગ્યાં. સ્વામીજી આવ્યાં અને અમે તેમના આશીર્વાદ લીધાં. સરળ, સૌમ્ય સ્વામીજી થોડાં થાકેલાં હતાં અને તેમની તબીયત નાદુરસ્ત હતી. એટલે તેઓ ડોક્ટરને મળવા વીદાય થયાં.

આજના દીવસમાં કોઈ ફોટો પાડ્યો નહતો. બીજાં ફોટા જોવા માટે ક્લીક કરો: http://public.fotki.com/chipmap/

2009 ભારતયાત્રા 1

૨૦૦૯ ભારતયાત્રા 1 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 07, 2009

જાન્યુઆરી 11, 2009 રવીવાર

બરાબર ત્રણ વર્ષ પછીં મેં ભારતની મુલાકાત લેવા માટેની તારીખ નક્કી કરી. મુખ્ય કારણ એ હતું કે, જાન્યુઆરી 11, 2006ને બુધવારે મારા પીતાજીનું મૃત્યુ થયું હતું. એટલે, એ જ દીવસે મેં ભારત ઉતરવાનું નક્કી કર્યું! મુખ્યત્વે જે આધ્યાત્મીક સ્થાનોની મેં મુલાકાત લીધી હતી એનો અહેવાલ આ લેખમાં આપીશ. થોડાંફ ફોટાઓ: http://public.fotki.com/chipmap/public/

જ્યારે પણ અમેરીકાથી જતાં ભારતની ભુમી પર પગ મુકતાં જે હાશકારો અને ઘર પરત ફર્યાનો અનુભવ થાય છે, તે અવર્ણનીય છે. એના માટે તો ભારતથી અમુક વર્ષો દુર રહેવું પડે! અને તો જ “જનની જન્મભુમી સ્વર્ગથી પણ મહાન છે” એ વાક્યની સાર્થક્તા સમજાય છે. જેટ એરવેઝમાં હું અમદાવાદ એરપૉર્ટ ઉતર્યો અને વડોદરા ઘરે પહોંચ્યો. મારો ભાઈ કુણાલ, તેની પત્ની જીજ્ઞા, મીત્ર દીગંત, તેની પત્ની શીતલ અને પુત્રી ફોરમ લેવા આવ્યાં હતાં. મારી સાથે મારી મમ્મી હતી. આ મારો પારુલ અને વૃન્દ વગર લાંબી મુસાફરીનો પ્રથમ અનુભવ હતો.

જેટલૅગને તાબે થયા વગર મેં એ જ દીવસે નીકોરા ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યું. કુણાલને શંકા હતી કે હું જાગી નહીં શકું. હા, લગભગ 32 કલાકની મુસાફરી (લેંસડેલના ઘરેથી વડોદરાનાં ઘર સુધી) દરમ્યાન માત્ર 3-4 કલાકની ઉંઘ લીધી હોવાથી મારી ક્ષમતા પર અવીશ્વાસ થવો સ્વાભાવીક જ હોય ને! પરંતું, મેં માત્ર અને માત્ર રાત્રે જ સુવાનો નીર્ણય કર્યો હોવાથી મારી વાત પર અડગ રહ્યો. 11 દીવસના રોકાણમાંથી હું 2-3 દીવસ જેટલૅગમાં બગાડવા જેટલો ઉદારદીલ નથી.

સહુપ્રથમ અમે કંડારી ગામ ગયા. ત્યાંથી પારુલનાં ભાભીનાં પપ્પા-મમ્મી-ભાઈ-ભાભીને સાથે લઈ અમે નીકોરા જવા નીકળ્યાં. નીકોરા ગામ એ ભાભીનું મોસાળ થાય. દીનેશપપ્પાએ ત્યાં આગોતરી જાણ કરી દીધી હોવાથી ભાભીના મામાઓ ત્યાં ગામને પાદર અમારી રાહ જોતાં હતાં. યોગી મધુસુદનદાસજી કે જેઓ “ધ્યાનયોગી”ના નામે ઓળખાય છે, તેમના શીષ્યા આનન્દીમાની પ્રેરણાથી નીકોરાની સીમમાં શ્રીયંત્રના આકારનું ધ્યાનમંદીર બનાવવામાં આવ્યું છે. આનન્દીમા શીષ્યોને શક્તીપાતની દીક્ષા આપતાં હોય છે. આનન્દીમાની ભાવસમાધી અને સુંદર કંઠે ગવાતું ગીત સાંભળવા http://www.youtube.com/watch?v=Mx2299_Y8uA અને http://www.youtube.com/watch?v=vouXD7HMSuo જુઓ. મન્દીરના પરીસરને અડીને જ “નમામિ દેવી નર્મદે” મા નર્મદા રમણીય દર્શને વહે છે.

આ મન્દીર વીશે મેં લગભગ 4 વર્ષ પહેલાં લેખ વાંચ્યો હતો અને અનાયાસે 4 મહીના પહેલાં યુટ્યુબ પર આનન્દીમાની ભાવસમાધીનો વીડીયો જોયો. એટલે નીકોરાની મુલાકાત લેવાની મને ઈચ્છા થઈ અને એ પુરી પણ થઈ. ધ્યાનમન્દીર વીશે વધુ માહીતી તમને http://www.dyc.org પર મળી શકશે.

ધ્યાનમન્દીરનાં ગર્ભગૃહમાં જે શાંતીની અનુભુતી થઈ એ અદભુત છે. આટલી શાંતીનો અનુભવ આ પહેલાં મને થયો નથી અને બાદ પણ હજુ સુધી થયો નથી. ગર્ભગૃહમાં ધ્યાનયોગીજીની મુર્તી છે. ત્યાં બેસનાર દરેકને આપોઆપ ગાઢ શાંતીનો અનુભવ થાય છે. શાંત થયા બાદ મેં ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કર્યો. ધ્યાનમાં મને આજ્ઞાચક્રમાં કેન્દ્રીત એક ત્રીકોણ દેખાયું. આ ત્રીકોણની ત્રણ બાજુઓ જુદાં જુદાં રંગની બનેલી હતી. સમગ્ર અદ્રષ્ટ સૃષ્ટીમાંથી રંગીન પ્રકાશનાં કીરણો આ ત્રીકોણમાં ભળી જતાં લાગ્યાં. આ પહેલાં અને પછી મને ક્યારેય આવું ત્રીકોણ દેખાયું નથી. મને કાયમ એક નીલા રંગનું વર્તુળરુપ કેન્દ્ર દેખાતું હોય છે. આ અનુભવ કંઈક જુદો જ હતો. લગભગ 15 મીનીટ આ સ્થીતીમાં રહ્યા બાદ હું ધ્યાનમાંથી ઉઠ્યો.

બહાર પાછળના ભાગમાં લટાર મારી. નર્મદાનો પટ મનને પ્રજ્વાળતો શાતાદાયક વહેતો હતો. એકાએક બગલાં કે એવાં જ કોઈક પક્ષીઓની હારબંધ ટોળી ત્યાંથી પસાર થઈ. વાહ! આવો નજારો આજ પહેલાં અનુભવ્યો નથી! ધ્યાનમન્દીરના નીચેના ભાગે ધ્યાનખંડ અને અનુષ્ઠાનખંડ જોયાં. ત્યાં ઉભેલાં ભાઈએ ખબર આપ્યાં કે આનન્દીમા થોડીવારમાં અહીં આવશે. આનન્દીમા 21 દીવસોથી મૌન વ્રતમાં હતાં એટલે કોઈની સાથે બોલશે નહીં એવું અમને કહેવામાં આવ્યું. આનન્દીમા અને દીલીપજી આવ્યાં અને ધીમે ધીમે પગથીયાં ઉતરીને નીચે અનુષ્ઠાન ખંડ તરફ જવાં લાગ્યાં. તેઓ એક ખુબ જ સાદી વ્યક્તી અને સૌમ્ય મુર્તી જણાતાં હતાં. તેમનો ચહેરો તેજસ્વી લાગતો હતો.

આમ તો ધ્યાનમન્દીરમાં ફોટા પાડવાની મનાઈ છે. પરંતું, મેં થોડી છુટછાટ તો લઈ જ લીધી અને અમુક ફોટા તમારી સાથે વહેંચ્યાં છે જે તમે આ લેખની શરુઆતમાં આપેલી લીંક પર જોયા હશે.

નીકોરાની મુલાકાતે મારા અસ્તીત્વ પર એક અનોખી છાપ છોડી છે. આમ પણ મને નર્મદા માટે સવીશેષ આકર્ષણ છે. ઘણીવાર નર્મદામાં લીન થઈ જવાની ઈચ્છા થઈ આવે છે. નર્મદા, નર્મદા, નર્મદા…