2009 ભારતયાત્રા 2

2009 ભારતયાત્રા 2 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 15, 2009

જાન્યુઆરી 12, 2009 સોમવાર

આ દીવસ સ્વામી વિવેકાનન્દનો જન્મદીવસ છે અને ભારતમાં “યુવાદીન” તરીકે એની ઉજવણી થતી હોય છે (સરકારી ચોપડે). વડોદરામાં રામકૃષ્ણ મીશન તરફથી એક મેમોરીયલ નામે “રામકૃષ્ણ મીશન વિવેકાનન્દ મેમોરીયલ” શરુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર જ્યાં શરુ કરવામાં આવ્યું છે એ બંગલો અલકાપુરી વીસ્તારમાં આવેલો છે અને “દીલારામ બંગલો” નામે ઓળખાય છે. સ્વામી વિવેકાનન્દ જ્યારે પરીવ્રાજક તરીકે આખા ભારતમાં ફર્યાં હતાં ત્યારે એપ્રીલ 1892માં વડોદરામાં આ બંગલા ખાતે રોકાયા હતાં. આ બંગલો તે વખતનાં વડોદરા રાજ્યના દીવાન શ્રી મણીલાલ જે.નાં રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આવા ઐતીહાસીક મહ્ત્વ ધરાવતાં બંગલા અને કેન્દ્રની પ્રવૃત્તી વીશે વધુ માહીતી આ લીંક પર મળી રહેશે: http://www.rkmvm.com/vadodara/meoriable.asp.

આજના દીવસે કેન્દ્રમાં સ્વામીજીની એક વીશાળકાય પ્રતીમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તત્કાલીન રાજ્યપાલ શ્રી નવલકીશોર શર્માના અધ્યક્ષપણે એ કાર્યક્રમ બપોરના લગભગ 4 વાગ્યે પુરો થવાનો હતો એટલે મેં કેન્દ્રની મુલાકાત માટે સાંજનો સમય પસંદ કર્યો. બીજું, મારી ખાસ ઈચ્છા કેન્દ્રના સંચાલક સ્વામી નીખીલેશ્વરાનંદજીને મળવાની હતી. ભીડભાડમાં તેમને મળવું લગભગ અશક્ય જ હોય એટલે સાંજનો સમય વધુ અનુકુળ આવે.

રામકૃષ્ણ મીશનના મંદીરો કે કેન્દ્રોની વીશેષતા એ હોય છે કે, તેમાં ધ્યાનખંડ મુખ્ય હોય છે. આ ખંડમાં ત્રીમુર્તી - સ્વામી વિવેકાનન્દ, રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણીદેવી -નાં ફોટાં કે મુર્તીઓ હોય છે. મીશનનાં અનુયાયીઓ ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ)ને મા કાલીનું જ એક સ્વરુપ માને છે. ઠાકુરના જ શબ્દોમાં - જે રામ હતાં, જે કૃષ્ણ હતાં, એ જ હવે સદેહે અહીં છે. નરેન, એ પણ તારી વેદાંતની દ્રષ્ટીએ નહીં, પરંતુ સાક્ષાત સદેહે - વીશ્વાસ મુકીએ તો જે પરમ તત્વ છે તેનાં અંશસ્વરુપ અવતાર તેઓ હતાં.

સાંજે લગભગ 6 વાગ્યે અમે કેન્દ્રમાં પહોંચી ગયા. મુખ્ય ધ્યાનખંડમાં કોઈ બંગાળી ભજન ગવાતું હતું. મને શબ્દો તો ખબર ના પડ્યાં, પરંતુ ભાવ મનને સ્પર્શી ગયો. હું ત્યાં બેઠો બેઠો ઠાકુરનાં ફોટાને જોયા કરતો હતો. ફોટામાં મને એકાએક ચૈતન્યનો આભાસ થયો! કોઈ જીવંત વ્યક્તી જાણે સ્થીર થઈને બેઠાં હોય એવો જ ભાવ મને જાગ્યો. લગભગ 10 મીનીટ સુધી મને એવો ભાસ થયા કર્યો. સાથે સાથે મને પરમ શાંતીનો અનુભવ થતો ચાલ્યો, અને મેં આજ્ઞાચક્રમાં ધ્યાન કરવાનું શરું કર્યું. મને પેલું ચીરપરીચીત નીલા રંગનું વર્તુળ દેખાવું શરું થઈ ગયું. મનમાં ઉઠતાં દરેક તરંગો એ વર્તુળરુપી કેન્દ્રમાં લીન થતાં ચાલ્યાં. પાંચેક મીનીટ બાદ હું ધ્યાનમાંથી ઉઠ્યો.

ધ્યાનખંડના પ્રવેશદ્વાર પર ઠાકુરનાં જીવનનાં ઘણાં પ્રસંગો ચીત્રીત કરવામાં આવ્યાં છે. એ બધાં ચીત્રો જોવાની ખુબ મજા પડી. નીચે ઉતરવાનાં પગથીયાં પાસે પરસાળમાં હીમાલયનું એક વીશાળ ચીત્ર હતું. એ જોઈને મારો એક જુનો વીચાર પાછો સળવળવા માંડ્યો. મારી એવી ઈચ્છા છે કે, જ્યારે હું ઘરમાં એક અલાયદો મંદીર માટેનો ખંડ બનાવીશ ત્યારે એમાં દીવાલોને ઢાંકી દે એટલાં મોટાં હીમાલયનાં પોસ્ટર મુકીશ. ત્યાં બેસતાં જ એવો આભાસ થવો જોઈએ કે જાણે હીમાલયની વચ્ચે મંદીર આવેલું છે. અહીં અમેરીકામાં આબેહુબ સાચી લાગે એવી છત બનાવી આપતી વેબસાઈટ જુઓ: http://www.theskyfactory.com/

નીચે એક કચેરી જેવા ઓરડામાં સ્વામી નીખીલેશ્વરનન્દજીને મળી શકાય એમ હતું. અમે ત્યાં બેઠાં અને સ્વામીજીની રાહ જોવાં લાગ્યાં. સ્વામીજી આવ્યાં અને અમે તેમના આશીર્વાદ લીધાં. સરળ, સૌમ્ય સ્વામીજી થોડાં થાકેલાં હતાં અને તેમની તબીયત નાદુરસ્ત હતી. એટલે તેઓ ડોક્ટરને મળવા વીદાય થયાં.

આજના દીવસમાં કોઈ ફોટો પાડ્યો નહતો. બીજાં ફોટા જોવા માટે ક્લીક કરો: http://public.fotki.com/chipmap/

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

આપણે પહેલાં પણ વાત થઇ હતી તે મુજબ
રંગ અને ચક્રને શું સંબંધ હોઇ શકે ??!!!
ધ્યાન આજ્ઞાચક્રમાં જ ધરવું જોઇએને ?

દરેક ચક્ર સાથે રંગ, આકાર, યન્ત્ર, મન્ત્ર, ધ્વની, દેવી સંકળાયેલા હોય છે. એમાંથી કોઈ પણ એકની સાધના જે-તે ચક્રને કાર્યાન્વીત કરે છે.

આજ્ઞાચક્ર અને અનાહતચક્રમાં ધ્યાન કરવું શ્રેષ્ઠ છે.

Leave a comment

(required)

(required)