2009 ભારતયાત્રા 1
૨૦૦૯ ભારતયાત્રા 1 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 07, 2009
જાન્યુઆરી 11, 2009 રવીવાર
બરાબર ત્રણ વર્ષ પછીં મેં ભારતની મુલાકાત લેવા માટેની તારીખ નક્કી કરી. મુખ્ય કારણ એ હતું કે, જાન્યુઆરી 11, 2006ને બુધવારે મારા પીતાજીનું મૃત્યુ થયું હતું. એટલે, એ જ દીવસે મેં ભારત ઉતરવાનું નક્કી કર્યું! મુખ્યત્વે જે આધ્યાત્મીક સ્થાનોની મેં મુલાકાત લીધી હતી એનો અહેવાલ આ લેખમાં આપીશ. થોડાંફ ફોટાઓ: http://public.fotki.com/chipmap/public/
જ્યારે પણ અમેરીકાથી જતાં ભારતની ભુમી પર પગ મુકતાં જે હાશકારો અને ઘર પરત ફર્યાનો અનુભવ થાય છે, તે અવર્ણનીય છે. એના માટે તો ભારતથી અમુક વર્ષો દુર રહેવું પડે! અને તો જ “જનની જન્મભુમી સ્વર્ગથી પણ મહાન છે” એ વાક્યની સાર્થક્તા સમજાય છે. જેટ એરવેઝમાં હું અમદાવાદ એરપૉર્ટ ઉતર્યો અને વડોદરા ઘરે પહોંચ્યો. મારો ભાઈ કુણાલ, તેની પત્ની જીજ્ઞા, મીત્ર દીગંત, તેની પત્ની શીતલ અને પુત્રી ફોરમ લેવા આવ્યાં હતાં. મારી સાથે મારી મમ્મી હતી. આ મારો પારુલ અને વૃન્દ વગર લાંબી મુસાફરીનો પ્રથમ અનુભવ હતો.
જેટલૅગને તાબે થયા વગર મેં એ જ દીવસે નીકોરા ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યું. કુણાલને શંકા હતી કે હું જાગી નહીં શકું. હા, લગભગ 32 કલાકની મુસાફરી (લેંસડેલના ઘરેથી વડોદરાનાં ઘર સુધી) દરમ્યાન માત્ર 3-4 કલાકની ઉંઘ લીધી હોવાથી મારી ક્ષમતા પર અવીશ્વાસ થવો સ્વાભાવીક જ હોય ને! પરંતું, મેં માત્ર અને માત્ર રાત્રે જ સુવાનો નીર્ણય કર્યો હોવાથી મારી વાત પર અડગ રહ્યો. 11 દીવસના રોકાણમાંથી હું 2-3 દીવસ જેટલૅગમાં બગાડવા જેટલો ઉદારદીલ નથી.
સહુપ્રથમ અમે કંડારી ગામ ગયા. ત્યાંથી પારુલનાં ભાભીનાં પપ્પા-મમ્મી-ભાઈ-ભાભીને સાથે લઈ અમે નીકોરા જવા નીકળ્યાં. નીકોરા ગામ એ ભાભીનું મોસાળ થાય. દીનેશપપ્પાએ ત્યાં આગોતરી જાણ કરી દીધી હોવાથી ભાભીના મામાઓ ત્યાં ગામને પાદર અમારી રાહ જોતાં હતાં. યોગી મધુસુદનદાસજી કે જેઓ “ધ્યાનયોગી”ના નામે ઓળખાય છે, તેમના શીષ્યા આનન્દીમાની પ્રેરણાથી નીકોરાની સીમમાં શ્રીયંત્રના આકારનું ધ્યાનમંદીર બનાવવામાં આવ્યું છે. આનન્દીમા શીષ્યોને શક્તીપાતની દીક્ષા આપતાં હોય છે. આનન્દીમાની ભાવસમાધી અને સુંદર કંઠે ગવાતું ગીત સાંભળવા http://www.youtube.com/watch?v=Mx2299_Y8uA અને http://www.youtube.com/watch?v=vouXD7HMSuo જુઓ. મન્દીરના પરીસરને અડીને જ “નમામિ દેવી નર્મદે” મા નર્મદા રમણીય દર્શને વહે છે.
આ મન્દીર વીશે મેં લગભગ 4 વર્ષ પહેલાં લેખ વાંચ્યો હતો અને અનાયાસે 4 મહીના પહેલાં યુટ્યુબ પર આનન્દીમાની ભાવસમાધીનો વીડીયો જોયો. એટલે નીકોરાની મુલાકાત લેવાની મને ઈચ્છા થઈ અને એ પુરી પણ થઈ. ધ્યાનમન્દીર વીશે વધુ માહીતી તમને http://www.dyc.org પર મળી શકશે.
ધ્યાનમન્દીરનાં ગર્ભગૃહમાં જે શાંતીની અનુભુતી થઈ એ અદભુત છે. આટલી શાંતીનો અનુભવ આ પહેલાં મને થયો નથી અને બાદ પણ હજુ સુધી થયો નથી. ગર્ભગૃહમાં ધ્યાનયોગીજીની મુર્તી છે. ત્યાં બેસનાર દરેકને આપોઆપ ગાઢ શાંતીનો અનુભવ થાય છે. શાંત થયા બાદ મેં ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કર્યો. ધ્યાનમાં મને આજ્ઞાચક્રમાં કેન્દ્રીત એક ત્રીકોણ દેખાયું. આ ત્રીકોણની ત્રણ બાજુઓ જુદાં જુદાં રંગની બનેલી હતી. સમગ્ર અદ્રષ્ટ સૃષ્ટીમાંથી રંગીન પ્રકાશનાં કીરણો આ ત્રીકોણમાં ભળી જતાં લાગ્યાં. આ પહેલાં અને પછી મને ક્યારેય આવું ત્રીકોણ દેખાયું નથી. મને કાયમ એક નીલા રંગનું વર્તુળરુપ કેન્દ્ર દેખાતું હોય છે. આ અનુભવ કંઈક જુદો જ હતો. લગભગ 15 મીનીટ આ સ્થીતીમાં રહ્યા બાદ હું ધ્યાનમાંથી ઉઠ્યો.
બહાર પાછળના ભાગમાં લટાર મારી. નર્મદાનો પટ મનને પ્રજ્વાળતો શાતાદાયક વહેતો હતો. એકાએક બગલાં કે એવાં જ કોઈક પક્ષીઓની હારબંધ ટોળી ત્યાંથી પસાર થઈ. વાહ! આવો નજારો આજ પહેલાં અનુભવ્યો નથી! ધ્યાનમન્દીરના નીચેના ભાગે ધ્યાનખંડ અને અનુષ્ઠાનખંડ જોયાં. ત્યાં ઉભેલાં ભાઈએ ખબર આપ્યાં કે આનન્દીમા થોડીવારમાં અહીં આવશે. આનન્દીમા 21 દીવસોથી મૌન વ્રતમાં હતાં એટલે કોઈની સાથે બોલશે નહીં એવું અમને કહેવામાં આવ્યું. આનન્દીમા અને દીલીપજી આવ્યાં અને ધીમે ધીમે પગથીયાં ઉતરીને નીચે અનુષ્ઠાન ખંડ તરફ જવાં લાગ્યાં. તેઓ એક ખુબ જ સાદી વ્યક્તી અને સૌમ્ય મુર્તી જણાતાં હતાં. તેમનો ચહેરો તેજસ્વી લાગતો હતો.
આમ તો ધ્યાનમન્દીરમાં ફોટા પાડવાની મનાઈ છે. પરંતું, મેં થોડી છુટછાટ તો લઈ જ લીધી અને અમુક ફોટા તમારી સાથે વહેંચ્યાં છે જે તમે આ લેખની શરુઆતમાં આપેલી લીંક પર જોયા હશે.
નીકોરાની મુલાકાતે મારા અસ્તીત્વ પર એક અનોખી છાપ છોડી છે. આમ પણ મને નર્મદા માટે સવીશેષ આકર્ષણ છે. ઘણીવાર નર્મદામાં લીન થઈ જવાની ઈચ્છા થઈ આવે છે. નર્મદા, નર્મદા, નર્મદા…
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


સરસ. આને સ્થાન દેવતા કહી શકાય. દરેક જગ્યાની એક ચેતના હોય છે. તે આપણા ભાવ જગત સાથે રેઝોનંન્સ કરે ત્યારે આવી અનુભુતી થાય.પણ બન્ને હોવા જરુરી છે.
આપના લોકોની ફોટા ન લેવા દેવા માટેની મનોવૃત્તી નથી સમજાતી.
સાથે અહીં ફોટા મુકે તો?