ઈશ્વર - 2

ઈશ્વર - 2 - સ્વામી વિવેકાનન્દ નવેમ્બર 27, 2008

11. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુઃખમાં ઈશ્વર સમાન રીતે વીદ્યમાન છે. સમગ્ર વીશ્વ ઈશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને દર્શન કરો.

12. ઈશ્વરની પુજા કરીને આપણે હંમેશાં ખરેખર તો આપણી અન્દર નીગુઢ રીતે રહેલા ‘આત્મતત્વ’ની જ પુજા કરીએ છીએ.

13. ધર્મની અનુભુતી થઈ શકે છે. શું તમે તેના માટે તૈયાર છો? શું તે તમને ખરેખર જોઈએ છે? જો એવું હોય તો તમને તેની અનુભુતી અવશ્ય થશે અને પછી તમે સાચા અર્થમાં ધાર્મીક બનશો. જ્યાં સુધી તમે અનુભુતી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી નાસ્તીકો અને તમારી વચ્ચે કશો પણ ભેદ નથી. નાસ્તીકો તો પ્રમાણીક છે, પરંતુ જે મનુષ્ય પોતાને ધર્મમાં શ્રધ્ધા હોવાનું કહે છે છતાં તેની અનુભુતી કરવાનો પ્રયત્ન કરતો નથી તે પ્રમાણીક નથી.

14. હું ભુતકાળના તમામ ધર્મોનો સ્વીકાર કરું છું અને એમના આદેશ પ્રમાણે પુજા કરું છું; ઈશ્વરને ગમે તે સ્વરુપે તેઓ પુજે, હું એ પ્રત્યેક ધર્મ પ્રમાણે ઈશ્વરની પુજા કરું છું. હું મુસલમાનોની મસ્જીદમાં જઈશ; હું ખ્રીસ્તીઓના દેવળમાં જઈને ‘ક્રુસ’ની આગળ ઘુંટણીયે પડીશ; હું બૌધ્ધોના મન્દીરમાં પ્રવેશ કરીને ભગવાન બુધ્ધ અને એમના શાસનનું શરણ શોધીશ. મનુષ્યમાત્રના હ્રદયમાં પ્રકાશ પાથરતી જ્યોતીનું દર્શન કરવા મથતા હીન્દુની સાથે વનમાં જઈને હું ધ્યાનમાં બેસીશ.

15. ભારતમાં જેને ‘યોગ’ કહીએ છીએ તેના દ્વારા આ ધર્મની પ્રાપ્તી થાય છે. કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતી વચ્ચેની એકતા રુપે, રાજયોગી એને જીવ અને બ્રહ્મની એકતા રુપે, ભક્ત એને પ્રેમસ્વરુપ ઈશ્વર અને પોતાની વચ્ચે એકતા રુપે અને જ્ઞાની એને બહુધા વીલસતા ‘સત’ની એકતા રુપે નીહાળે છે. ‘યોગ’નો અર્થ આ છે.

16. હવે પ્રશ્ન આ છે: શું ધર્મ દ્વારા ખરેખર કંઈ સીધ્ધ થઈ શકે ખરું? હા, જરુર થઈ શકે. ધર્મ મનુષ્યને અમર બનાવે છે. એણે જ મનુષ્યને તેની આજની સ્થીતીએ પહોંચાડ્યો છે અને એ જ આ મનુષ્ય-પશુને ઈશ્વર બનાવશે. આ છે ધર્મની સીધ્ધી. મનુષ્ય-સમાજમાંથી ધર્મની બાદબાકી કરો અને પછી જુઓ કે શું શેષ રહે છે? પશુઓના જંગલ સીવાય બીજું કશું જ નહીં!

17. તમને કોણ સહાય કરશે? તમે પોતે જ વીશ્વને માટે સહાયરુપ છો. આ વીશ્વમાં કઈ વસ્તુ તમને સહાય કરી શકે? તમને સહાય કરે એવો મનુષ્ય, ઈશ્વર કે દાનવ ક્યાં છે? તમને કોણ પરાજીત કરી શકે? તમે જ આ વીશ્વના વીધાતા છો; સહાય માટે તમે બીજે ક્યાં પ્રયત્ન કરશો? એવી સહાય તો તમારા પોતાના સીવાય બીજે ક્યાંયથી ક્યારેય પણ આવી નથી. તમારા અજ્ઞાનને કારણે તમે એવું માની લીધું કે તમે કરેલી પ્રત્યેક પ્રાર્થનાનો જે ઉત્તર મળ્યો તે કોઈ ‘સત્વ’ તરફથી મળ્યો; પરંતુ ખરેખર તો તમે પોતે જ તમારી એ પ્રાર્થનાનો અજાણપણે ઉત્તર વાળ્યો છે.

18. ગ્રંથોનું અધ્યયન કરીને આપણે એવા ભ્રમમાં પડીએ છીએ કે આપણને આધ્યાત્મીક સહાય મળી રહી છે; પરંતુ ગ્રંથોના અધ્યયનના આપણા ઉપર પડતા પ્રભાવનું પૃથક્કરણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આવાં અધ્યયનોથી -આપણી બુધ્ધીને લાભ થાય છે, આપણા અંતર-આત્માને નહીં. આમ, આધ્યાત્મીક વીકાસને વેગ આપવામાં ગ્રંથોનું અધ્યયન અપ્રયાપ્ત છે, એટલે જ આપણામાંથી લગભગ દરેક જણ આધ્યાત્મીક વીષયો પર ભલે અત્યંત અદભુત ‘વ્યાખ્યાન’ આપી શકે, પરંતુ જ્યારે આચરણની કે સાચું આધ્યાત્મીક જીવન જીવવાની વાત આવે છે, ત્યારે આપણને ભાન થાય છે કે આ બાબતમાં આપણે ગજબ રીતે ઉણા છીએ. આત્મવીકાસને વેગ આપવો હોય તો તેની પ્રેરણા તો કોઈ બ્રહ્મનીષ્ઠ આત્મા પાસેથી જ પ્રાપ્ત કરવી જોઈએ.

19. ઈશ્વર જ સત્ય છે, આત્મા સત્ય છે; આધ્યાત્મીક્તા જ સત્ય છે. તેમને વળગી રહો.

20. જગતના ભીન્ન ભીન્ન ધર્મો પોતપોતાના ઉપાસના વીધીમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ બધા એક જ છે.

21. ધ્યાન એ મહત્વની બાબત છે. ધ્યાનનો અભ્યાસ કરો! એ સર્વોત્તમ વસ્તુ છે. ધ્યાનમાં મગ્ન થયેલું ચીત્ત એટલે આધ્યાત્મીક જીવનનો નીકટતમ ઉપાય. આપણા જીવનની એ એક જ ક્ષણ એવી છે કે જ્યારે આપણે ભૌતીક્તાથી તદ્દન અલગ થઈ જઈએ છીએ અને તમામ ઉપાધીઓથી મુક્ત બનેલો આપણો આત્મા કેવળ સ્વરુપમાં જ રમમાણ રહે છે. એવો અદભુત છે આ આત્માનો સંસ્પર્શ.

22. જેઓ પોતાની જાતનું ઈશ્વરને સમર્પણ કરે છે તેઓ કહેવાતા તમામ પ્રવૃત્તીશીલ લોકો કરતાં જગતનું વીશેષ ભલું કરે છે. જે વ્યક્તી સમ્પુર્ણપણે આત્મશુધ્ધી સાધે છે તે ઉપદેશકોની ફોજ કરતાં વધુ કાર્ય સીધ્ધ કરે છે. ચીત્તશુધ્ધી અને મૌનમાંથી જ શક્તી સમ્પન્ન વાણીનો ઉદય થાય છે.

23. આજે આપણને જરુર છે એ જાણવાની કે ઈશ્વરની હસ્તી છે જ અને આપણે અહીં જ અને આ ક્ષણે જ તેનું દર્શન - તેની અનુભુતી કરી શકીએ.

24. ‘ભોજન, ભોજન’ બોલવું અને ખરેખર ભોજન કરવું, ‘પાણી, પાણી’ બોલવું અને ખરેખર પાણી પીવું - એમાં જમીન-આસમાનનો ફેર છે. એ જ રીતે માત્ર ‘ભગવાન, ભગવાન’ રટવાથી તેનો સાક્ષાત્કાર પામવાની આશા આપણે રાખી શકીએ નહીં. એ માટે તો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઈએ.

25. અનીષ્ટના સીતમોની વચ્ચે પણ બોલો - ‘મારા પ્રભુ, મારા પ્રીયતમ!’ મૃત્યુની યાતના વચ્ચે પણ કહો: ‘મારા પ્રભુ! મારા પ્રીયતમ!’ ધરતી ઉપરની તમામ બુરાઈઓ વચ્ચે પણ પુકારો, ‘મારા પ્રભુ, મારા પ્રીયતમ!’ - ‘તું અહીં છે, હું તારું દર્શન કરું છું. તું મારી સાથે છે, હું તારી અનુભુતી કરું છું, હું તારો છું, મને અપનાવી લે. હું આ સંસારનો નથી પણ તારો છું; તો પછી મારો ત્યાગ ના કર.’ હીરાની ખાણ છોડીને કાચમણીની પાછળ પડશો નહીં! આ જીવન તો એક મહાન તક છે. અરે! શું તું સંસારના સુખ ભોગોની શોધમાં છે? પ્રભુ જ સર્વ સુખોનો સ્ત્રોત છે. એ પરમતત્ત્વને પામવાનો પ્રયત્ન કર, એને જ મેળવવાનું ધ્યેય રાખ, એટલે તું જરુર એને પામી શકીશ.

26. આપણે ઉત્સાહી અને આનન્દી થવું જોઈએ. ઉદાસીન ચહેરાઓ કંઈ ધર્મનું નીર્માણ કરી શકે નહીં. ધર્મ તો જગતની સૌથી વધુ આનન્દપુર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે એ સર્વોત્તમ છે.

27. વસ્તુમાત્રને ઈશ્વર સ્વરુપ માનીને પુજન કરો - પ્રત્યેક રુપ તેનું મન્દીર છે; બાકીનું બધું ભ્રાંતી છે. હંમેશાં હ્રદયની અન્દર દ્રષ્ટીપાત કરો, બહાર નહીં. એવા જ ઈશ્વરનો, એવી જ પુજાનો વેદાંત ઉપદેશ આપે છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

વસ્તુમાત્રને ઈશ્વર સ્વરુપ માનીને પુજન કરો - પ્રત્યેક રુપ તેનું મન્દીર છે; બાકીનું બધું ભ્રાંતી છે. હંમેશાં હ્રદયની અન્દર દ્રષ્ટીપાત કરો, બહાર નહીં. એવા જ ઈશ્વરનો, એવી જ પુજાનો વેદાંત ઉપદેશ આપે છે.

—–

વાહ શું દર્શન છે ?

Leave a comment

(required)

(required)